શક્તિ ધરાવતા મહાકર ચાંચિયા છે. એવી વાયકા ચારેખમ ફેલાઇ
બાલ્ટિક અને રોમન પ્રજાને તો તેમણે સમુદ્ર માર્ગે આવવાની બંધી કરી
દીધી. કિનારે ક્ષત્રપોનાં ઘાણાં તેમણે ઉખાડી નાખ્યાં અને નદી માર્ગે
ભૂમિપ્રવેશ કરી અંદર આવેલાં રોમન સંસ્થાનોને છિન્નભિન્ન કરવા માંડ્યાં
રોમન સમ્રાટે આર્યાવર્તના મિત્રો પાસે ફરિયાદ કરી. અને ગે
ચાંચિયાને પકડી પોતાને સોંપી દેવાની માગણી કરી. એ માગણી પાછળ
ધમકી હતી. પાંચાળપતિએ સિંધૂમુખથી, માલવપતિએ સ્તંભતીર્થની
આસપાસથી અને આંધ્રભૃત્યોએ રત્નાગિરીના મુખથી પોતાનાં નૌકા
સૈન્યો એકસામટાં આ બે ચાંચિયાઓનો ઉપદ્રવ દૂર કરવા સજ્જ કરી છૂટાં
મૂક્યાં. રાજવીઓના સૈન્યનો દબદબો બહુ પ્રેક્ષણીય હતો. એ દબદબાની
અતિશયતા રાજવીઓનાં રાજ્યને ડુબાવી દે છે એ સુબાહુ અને સુકેતુની
જાણ બહા૨ ન હતું. નદીકિનારાના વનમાં વસતી નાગપ્રજા અને પહાડોમાં
પથરાયલી અર્ધ આર્ય બની ગયેલી અનાર્ય પ્રજાની સહાય આ બંને વીરોએ
મેળવી હતી. ચપલનૌકાઓ અને વજ્ર દુર્ગસમાં વહાણોના કાફલા તેમની
પાસે તૈયાર જ હતા. ચાંચિયાઓને ધીમે ધીમે શોધતાં, અતિ વિશ્વાસથી
સમુદ્રજળ કાપતાં આ ત્રણે રાજવીઓનાં નૌકાસૈન્યનો મુકાબલો અણધાર્યે
સ્થળે અને અણધારી ઝડપથી થયો. લક્ષદ્વીપ આગળ આંધ્રભૃત્યોનું
નૌકાસૈન્ય દીપ બંદર આગળ માલવસૈન્ય, અને દ્વારમતી પાસે પાંચાળનું
સૈન્ય એમ વગર હરકતે આગળ વધ્યાં, અને સુબાહુ-સુકેતુ આ
મહાસૈન્યસમૂહના વિચાર માત્ર અદૃશ્ય થઈ ગયા હતા એવી ખાતરી રાખી
રંગરાગમાં ચકચૂર બનેલા સેનાપતિઓએ એક રાતમાં જ જોઈ લીધું કે
તેમનાં સૈન્ય ચારેપાસથી ઘેરાઈ ગયેલાં છે. વહાણોની મજબૂતી અને
યોદ્ધાઓનાં વીરત્વ ઉપર ભરોંસો રાખી બેઠેલા સેનાપતિઓ પરંપરાગત
જુનવાણી વ્યૂહરચના રચી ન રહ્યા એટલામાં તો સુબાહુ અને સુકેતુના દક્ષ
નાવિક વીરોએ અસહ્ય ધસારો કર્યો, અને અત્યંત ચપળતાથી મહેલો
સરખાં રાજવહાણોને તોડયાં, ડુબાડ્યાં કે બાળ્યાં. બચ્યાં તે વહાણો અને
શસ્ત્રાસ્ત્ર સાગરરાજની જપ્તીમાં આવ્યાં. આમ ત્રણે મહારાજ્યનાં
નૌકાબલને નિરર્થક બનાવી ચૂકેલા સુબાહુએ આજ્ઞા આપી કે ત્રણે
સેનાપતિઓને જીવતા પકડવા. આજ્ઞા પ્રમાણે વર્તન થયું. ત્રણે સૈન્યના
સેનાપતિઓને થોડે દિવસે સુબાહુ પાસે ખડા કરવામાં આવ્યા.
નાનકડી એક માળવાળી હોડી જળમાં આછું આછું નાચતી હતી.
સેનાપતિઓને ખાતરી હતી કે આ ક્રૂર ચાંચિયો તેમને ગળે પથ્થર બાંધી
દરિયામાં ડુબાવી દેશે. એ હોડીમાં સેનાપતિઓને પ્રવેશ કરાવ્યો. ોડીના