શસ્ત્રસજ્જ સુબાહુ સરખો યુવક દમામથી આવી રહ્યો હતો. તે સુબાહુ
પાસે આવી ઊભો, સેનાપતિઓ સામે તિરસ્કારથી સહજ જોઇ રહ્યા અને
પછી બોલ્યો :
‘સુબાહુ ! તેં છેલ્લા સમાચાર સાંભળ્યા ?'
સુબાહુએ સુકેતુને જવાબ ન આપતાં સેનાપતિને કહ્યું :
‘આ સુકેતુ ! મારા કરતાં જરા વધારે ભયંકર દેખાય છે, નહિ ?'
સુકેતુનું મુખ સુબાહુના મુખ જેટલું સૌમ્ય તો નહોતું જ, પરંતુ તેને
ભયંકર કહી શકાય એમ તો ન જ હતું.
‘ભયંકર ? તું ક્યાં મને ભયંકર થવા દે છે ? તું વચ્ચે ન પડ્યો હોત
તો હું એક પણ શત્રુનાવિકને જીવતો જવા ન દેત. સમુદ્ર હજી પણ ઘણું
રુધિર માગે છે.’ સુકેતુ વચમાં જ બોલી ઊઠ્યો.
‘ચાલ, સારું થયું. જીવતા હશે તો મિત્ર બની શકશે...' સુબાહુએ
કહ્યું.
‘મિત્ર ? એમને તો ગુલામ બનવું છે. રોમન રાજ્યનું દાસત્વ...'
સુકેતુ બોલતો હતો તેને અટકાવી સુબાહુએ પૂછ્યું :
‘તું શા સમાચાર આપતો હતો ?’
‘હજી રોમન નૌકાસૈન્ય તો આપણા તરફ ધસ્યું આવે છે. આ ત્રણ
મહારાજ્યોના નૌકાસૈન્ય જાણે આપણે માટે ઓછાં પડ્યાં ન હોય ?' હસીને
સુકેતુએ કહ્યું.
‘આપણે ધાર્યું જ હતું. પરંતુ આ સૈન્યનો વહેલો પાર આવી ગયો.'
રક્ત સમુદ્રની સીધાણના રેખાંશવાળા પ્રવાહમાં તેમને ભેરવી દઈશું.'
સુબાહુએ કહ્યું.
‘તેં આ સેનાપતિઓને કેમ તારી પાસે બોલાવ્યા ?’
‘એમનો વધારે પરિચય કરવા, અને હજી પણ મૈત્રીની વિષ્ટિ
મોકલવા.’
‘મૈત્રી ? સુબાહુ ! આમ પાર નહિ આવે. જે રાજ્ય પરાજિત થાય
તેનો રાજા ઉઠાડી મૂકવાને જ પાત્ર ગણાય. આ ત્રણ રાજાઓને હું તો
પદભ્રષ્ટ જ કરું.’
‘નૌકાયુદ્ધમાં જીત્યાથી પદભ્રષ્ટ કરવા જેટલી સત્તા આવી જતી
નથી.' એક સેનાપતિએ જરા ઉગ્રતા દર્શાવી.
‘એ તો એનો સિદ્ધાંત કહે છે. એ એમ જ માને છે કે રાજા કે પ્રજાનું
એક જ રાજ્ય ભારતવર્ષમાં થાય ત્યાં સુધી ભારતવર્ષ ભયમાં જ છે.’