મહારાણી પણ આશ્ચર્યલીન થયાં. સુબાહુ અને સુકેતુને ખરેખર
માલવગાદી જોઈતી ન હતી એની તો ખાતરી તેમને થઇ જ ગઇ. ઉપરાંત
પોતાના હાથમાં રાજ્યસત્તા સોંપવાની સૂચનાએ સુબાહુની કોઈ
સમજાતી વિશાળ પ્રામાણિકતા અને ઉદારતાની પણ ખાતરી કરાવી. વળી
એ વિજેતાઓની સલાહ અને સહાય વડે અસ્તવ્યસ્ત બની ગયેલા રાજ્યને
સ્થિર કરી યુવરાજને સોંપવાની શક્યતા મહારાણીને દેખાઈ.
‘કેમ કુમાર ? શી મરજી છે ?' મહારાણીએ પૂછ્યું.
‘પ્રજાની મરજી વગર મારે રાજગાદી ન જોઈએ.’ કુમારે જવાબ
આપ્યો.
અને પ્રજાએ ના પાડી તો ?’ મહારાણીએ સરદારોની શંકાનો પડઘો
પાડ્યો.
‘તો... તો હું સુબાહુ કે સુકેતુની સાથે રહીશ. એ ક્યાં રાજાઓ છે ?’
‘શાબાશ ! અને સાથે સાથે એ પણ કહો કે આર્યાવર્તના એકેએક
માનવીમાં રાજ્યકર્તા બનવાની તાકાત ઉપજાવીશ.' સુકેતુએ કહ્યું.
‘પણ બધાને આપવા માટે રાજ્ય ક્યાં છે ?' કોઈ સરદારે ધીમેથી
કહ્યું.
‘આખી પૃથ્વી પડી છે. પૃથ્વી જિતાશે તો ચંદ્રલોક, સૂર્યમંડળ અને
રાશિમંડળમાં ગતિ કરીશું.' સુકેતુએ કહ્યું.
આ ક્રૂર ચાંચિયાઓ જીભચાલાકીથી કશી રમત રમવા માગે છે
એની ખાતરી સરદારોને થઈ ગઈ. પરંતુ કુમારની આંખોના કિરણ પૃથ્વી
પાર પહોંચી ચંદ્ર અને સૂર્યનાં કિરણો સામે ઘસાવા લાગ્યાં.
મહારાણીએ ગતાયુ મહારાજનો મુગટ મંગાવ્યો. સુબાહુએ કહ્યું :
‘હજી આપ વિચાર કરો. અમે તો માત્ર સૂચન કર્યું છે. એ સૂચન
પાછળ આશા નથી એની ખાતરી કરવા માટે અમે આજે જ અમારાં સૈન્ય
પાછાં ફેરવીએ છીએ.’
‘તમે અહીં નહિ રહો ?' યુવરાજે પૂછ્યું. સુબાહુ અને સુકેતુના
તેજસ્વી દેહ અને તેમની તેજસ્વી ભાવના પાછળ ઘેલો બનેલો યુવરાજ
તેમની ગેરહાજરીની વાત સહન કરી શક્યો નહિ.
‘ના જી. મહારાણીની આજ્ઞા વગર અમારાથી અહીં ન જ રહેવાય.’
સુબાહુએ કહ્યું.
મારી વિનંતિ છે કે આપ થોડો સમય અહીં જ રોકાઓ.' મહા-
રાણીએ કહ્યું.