ઊઠે !'
‘અમે એમ જ માનતા હતા.'
‘પછી ?’
‘કાંઈ જ નહિ. વર્ષોથી મૂંગા બની હલેસાં મારીએ છીએ.'
‘વહાણના માલિકો પાસે હું હલેસાં પકડાવીશ.'
બહુ જ ધીમેથી થતી વાતચીતનો આછો ભણકાર રક્ષકના કાનમાં
વાગ્યો અને તે ચાબુક લઈ ઉત્તુંગની પાસે દોડી આવ્યો.
ઉત્તુંગે રાતી આંખ રક્ષક તરફ ફેરવી. રક્ષક પણ આંખમાં પૂરતી
રતાશ લાવી શકતો હતો, છતાં તેણે ઉત્તુંગની આંખ નિહાળી ઉપાડેલી
ચાબુક પાછી ખેંચી લીધી.
‘હું જે દિવસે રક્ષક થયો તે દિવસે તારું મોત આવ્યું માનજે.’ ઉત્તુંગે
કહ્યું.
‘ઉત્તુંગ તરફનું રોમન અધિકારીઓનું વર્તન, તેને ખોરાક આપવાને
માટે લેવાતી કાળજી અને ક્ષમાની હાજરીમાં લેઈ જવાનું તેને અપાતું
મહત્ત્વ, રક્ષકના મનમાં ઉત્તુંગ માટે અનેક સંકલ્પવિકલ્પ ઉપજાવે એ સહજ
હતું. ઉત્તુંગ વિષે સુકાની, અધિકારી, ખલાસીઓ, એ બધામાં ખૂબ વાતો
ચાલતી હતી અને કલ્પના ઉત્તુંગના ભૂતભવિષ્ય સંબંધી અનેક ચિત્રો
ઉપજાવતી હતી. રક્ષક એ સઘળું જાણતો હતો. તેથી જ ક્ષમા પાસેથી
આવેલા ઉત્તુંગ પ્રત્યે બીજા ગુલામો જેટલી ક્રૂરતા વાપરતાં તે ડરવા લાગ્યો
હતો.
છાનોમાનો હલેસાં ફેરવ્યા કરતો હોય તો તને કોણ મારે ?’ રક્ષકે
કહ્યું. જાલિમને જુલ્મનો ઘણો જ ભય છે. પોતાના ઉપર ક્રૂરતા ન થાય એ
માટે તે ભારે ક્રૂરતામાં આનંદ માણે છે. પણ એ ક્રૂરતા પોતાના ઉપર જ
વાપરવાનો સંભવ જણાતાં તે પામર કીટ બની જાય છે. તેને લાગ્યું કે આ
મજબૂત આર્ય કદાચ રક્ષકના અધિકાર ઉપર પણ આવે. ગુલામોમાં એવી
ફેરફારી સહજ હતી.
‘તારા મનથી એમ હશે કે હું હલેસાં મારવા અહીં આવ્યો છું, એમ ?’
ઉત્તુંગે કહ્યું.
‘તો શા માટે આવ્યો છે ?’
‘આ વહાણ ઉપર રાજ્ય કરવા.'
‘તો તેમ શા માટે કરતો નથી.’
‘આજથી ત્રીજે દિવસે જોજે.