“વારુ - કોઇને પણ જાણ થવા પામશે નહિ. પણ હું ક્યારની એક
વાત કહેવાની હતી, તે વાતમાંને વાતમાં ભૂલી જ ગઈ. આપ મને
વૃન્દમાલાના નામે બોલાવે છો તો ખરા, પણ હું કાંઈ વૃન્દમાલા નથી, કિન્તુ
વૃન્દમાલાની સાથે જ રહી પોતાની સ્વામિનીની સેવા કરનારી વૃન્દમાલાની
પરમ પ્રિય સખી છું. વૃન્દમાલા તો મુરાદેવી પાસેથી ક્ષણ પણ માત્ર દૂર થઇ
નથી શકતી તેથી જ તેણે મને કહ્યું કે, “સખિ સુમતિકે! અમાત્યરાજનો
મને આવો સંદેશે મળેલો છે, અને મારાથી તો નીકળી શકાય તેમ છે નહિ.
પરંતુ તું અને હું કાંઈ જૂદાં તો નથી જ. માટે મારા બદલે તું જ ત્યાં જઇ
આવ. અમાત્યરાજને જણાવજે કે, આવાં આવાં કારણોને લીધે વૃન્દમાલાથી
આવી શકાયું નથી અને તેથી જ તેણે મને અહીં મોકલી છે. હું અને તે
એક જ છીએ. તેથી વૃન્દમાલાને જે આજ્ઞા કરવાની હોય તે મને કરે, એટલે
હું તેને કહી સંભળાવીશ, આ હું ક્યારનુંય કહેવાની હતી, પણ પીટ્યો
અવસર જ મળ્યો નહિ - તે ઠેઠ અત્યારે કહેવાયું.” સુમતિકાએ પોતાનો
ભેદ હતો, તે ખોલી નાંખ્યો.
અમાત્યને એ ભેદ જાણતાં મહાન આશ્ચર્ય થયું. તેણે કાંઇક ચમત્કારિક દૃષ્ટિથી હિરણ્યગુપ્ત તરફ જોયું; પરંતુ વિશેષ કાંઈ પણ ન બોલતાં તે, તે દાસીને કહેવા લાગ્યા કે, “ચિન્તા નહિ. તું હોય કે તે હોય, તે સાથે અમારે શું કરવાનું છે? તે તારી સખી છે, અને તેથી પોતાને બદલે તેણે તને મોકલી છે તો એમાં અયોગ્ય કર્યું નથી. તમારામાંથી કોઈ પણ મારું કાર્ય કરી આપે એટલે થયું.”
“કાર્યમાટે નિશ્ચિન્ત રહેવું. વારુ - ત્યારે છે હવે જવાની આજ્ઞા ?” દાસીએ કાર્ય કરી આપવાનું વચન આપીને જવાની રજા માગતાં પૂછ્યું.
અમાત્યે તેને આજ્ઞા આપી. દાસી ત્યાંથી નીકળી તે મુરાદેવીના મંદિરમાં ન જતાં ગંગાના તીર પ્રાન્તમાં જઈ પહોંચી.
અમાત્ય રાક્ષસ પોતાનાં બન્ને કાર્યોમાં જોઈએ તેવા યોગો આવી મળવાથી મનમાં ઘણો જ સંતુષ્ટ થયો. ચન્દ્રગુપ્ત ખરેખર કોણ હશે, એ વિશે તેના મનમાં જે સંશય હતો, તે પણ દૂર થયો અને મુરાદેવીના અંતઃપુરમાં પોતાનો કોઈ પણ ગુપ્ત દૂત હતો નહિ - તેથી ત્યાંની કાંઈ પણ બીના જાણવામાં આવતી નહોતી - તે હવે અક્ષરે અક્ષર