“કુમાર ! તમારા મનમાં ગમેતેમ હોય, પણ બહારથી પણ તમે
મને આ વિષયમાં નિરપરાધી માનો છો, એ પણ એક ઉદારતાનું ઉદાહરણ
છે. પરંતુ માત્ર તમારા સારા મતથી જ મને કાંઈપણ લાભ થઈ શકે તેમ
નથી. મારી મુદ્રાવાળાં પત્રો એની પાસેથી મળી આવ્યાં, એ જ લોકોના
અપવાદ માટે પૂરતું સાધન છે. એ લોકાપવાદ મારા શિરેથી સર્વથા ટળી
જવો જોઈએ. માટે એને ટાળી નાંખવાનો જો તમે પ્રસિદ્ધ રીતે ન્યાયસભામાં
પ્રયત્ન કરશો તો તમારો મારામાં અને મારી સ્વામિનિષ્ઠામાં
પૂરેપૂરો વિશ્વાસ છે, એમ હું માનીશ. અન્યથા નહિ.” રાક્ષસે કહ્યું.
“અમાત્યરાજ ! આ વિષયના ઉહાપોહમાટે જો પ્રસિદ્ધતાથી ન્યાયસભા ભરવામાં આવશે તો બધી બાજી બગડી જશે, એના કરતાં તો આ ભેદભરેલા વિષયને અંદરને અંદર દબાવી દઈને પર્વતેશ્વરને ખંડણી લઈને તેના રાજ્યમાં પાછો મોકલી દેવો અને આ ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરીને મગધદેશનું રાજ્ય પૂર્વ પ્રમાણે ચલાવવાની ચેષ્ટા કરવી એ જ સારું છે. તમે સચિવ અને હું સેનાપતિ......” સેનાપતિ ભાગુરાયણ વચમાં જ બોલી ઉઠ્યો.
“ના ના” રાક્ષસે એકદમ પોકાર કરીને કહ્યું. “ભાગુરાયણ ! આ નન્દવંશના પક્ષપાતી રાક્ષસ સમક્ષ તારે કોઈ કાળે પણ આવી વાત કાઢવી નહિ. નન્દનો ઘાત કરાવીને તેના સિંહાસને બેસવા ઇચ્છતા વૃષલનું સાચિવ્ય કરાવીને મને કલંકિત કરવાની તું ઇચ્છા રાખે છે કે ? એ શબ્દો ઉચ્ચારવા પહેલાં તારી જિહ્વાના શતશઃ ટુકડા કેમ થઈ નથી જતા ? નીચો ! શું તમારા બધાના કપટનાટકને હું નથી જાણતો કે ? અરેરે ! જાણું છું ખરો, પણ તે ઘણું જ મોડું જાણ્યું. એટલે જ તમને આવા રાજદ્રોહાત્મક ભાષણો કરવાનો પ્રસંગ મળ્યો, નહિ તો......પણ હવે એ વિચારો પ્રદર્શિત કરવાથી લાભ શો થવાનો છે ? કાંઈ પણ નહિ, માટે મૌન જ વધારે સારું છે.”
રાક્ષસનું એ ભાષણ સાંભળીને ભાગુરાયણ થોડીક વાર ચુપ થઈને બેસી રહ્યો. એને શું ઉત્તર આપવું, તે તેને સૂજ્યું નહિ, પરંતુ “જો મૌન ધારી બેસી રહીશ, તો એ બધો અપરાધ મારે શિરે જ ઢોળી પાડશે, માટે એને કાંઈપણ ઉત્તર તો આપવું જ જોઈએ.” એમ ધારીને તેણે રાક્ષસને કહ્યું કે, “કેમ? વિચારો જણાવવાથી લાભ કેમ નથી