પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ !


“ચાંડાલ !” ચન્દનદાસ કહેવા લાગ્યો. “રાક્ષસે પોતાનું કુટુંબ મને સોંપેલું છે, માટે હું જીવતો છું ત્યાં સૂધી તો તેમને કોઇના હાથમાં સોંપવાનો નથી. જો આટલી મિત્રનિષ્ઠા અને વચનનિષ્ઠા પણ મનુષ્યમાં ન હોય, તો પછી મનુષ્યનું જીવન જ શા ઉપયોગનું છે ? જેવો વાયુ વાય તેને તેવી પીઠ આપીને પોતાનું પાપી પેટ ભરનારા તો જગતમાં ઘણાય છે - ત્યારે સારા ને નઠારામાં ફેર શો ?” ચન્દનદાસે ઉત્તર આપ્યું.

ચન્દનદાસનાં એ વચનો રાક્ષસે સ્પષ્ટતાથી સાંભળ્યાં, અને તેથી તેને ઘણો જ ખેદ થવા લાગ્યો. “મારા મિત્રની મારામાં આટલી બધી નિષ્ઠા હોવા છતાં હું આજે વિનાકારણ એના નાશનો હેતુ થાઉં છું. એનો મિત્ર આ શકટદાસ અચાનક મારી દૃષ્ટિએ પડ્યો અને એણે મને આ બધી બીનાની ખબર આપી, એ ઘણું જ સારું થયું.” એમ ધારીને તેણે એક નિઃશ્વાસ નાંખ્યો અને એકદમ આગળ વધીને ચાંડાલને કહ્યું કે, “અરે ચાંડાલ ! જેનાં સ્ત્રી પુત્રોના શોધ માટે તું આ નિર્દોષ મનુષ્યનો વધ કરવા માટે તૈયાર થએલો છે, તે રાક્ષસ હું પોતે તારા સમક્ષ ઉભો છું, માટે એને એકદમ છોડી મૂકો અને તેને બદલે તમારી ઇચ્છા હોય તો મારો વધ કરો. દુષ્ટ ચાણક્ય અને ચન્દ્રગુપ્તના કપટજાળમાં જેવી રીતે આખું જગત્ ફસાયું છે, તેવી જ રીતે આ બિચારો પણ ફસાયો છે - માટે એને જવા દ્યો. એનો જરા જેટલો પણ અપરાધ હોય, એમ મારું ધારવું નથી.”

એ ભાષણ સાંભળીને બધા ચાંડાલો રાક્ષસના મુખને જોવા લાગ્યા. ચન્દનદાસની પત્ની પણ આશ્ચર્યચકિત, પરંતુ આશાપૂર્ણ દૃષ્ટિથી તેની મુખમુદ્રાનું અવલોકન કરવા લાગી, અને ચન્દનદાસ પોતે પણ “એ આવી અણીની વેળાએ ક્યાંથી આવી પહોંચ્યો?” એવા ભાવથી તેને તાકી રહ્યો. એ આશ્ચર્યની ઘડી વીતી ગયા પછી ચાંડાલ રાક્ષસને સંબોધીને બોલ્યો કે, “આર્યશ્રેષ્ઠ ! અમને ચન્દ્રગુપ્ત મહારાજની એટલી જ આજ્ઞા છે કે, જો આ શેઠ અમાત્ય રાક્ષસનાં સ્ત્રી પુત્રોનો પત્તો આપે અને તેમને તમારા હાથમાં સોંપે, તો એને જીવતો છોડી દેવો. માટે જ્યાં સૂધી એ એમ ન કરે, ત્યાં સૂધી અમારાથી એને છોડી શકાય તેમ નથી. અમાત્ય રાક્ષસ આવે અને તે તમારે સ્વાધીન થાય, તો ચન્દનદાસને છોડી દેજો, એવી કાંઈ અમને આજ્ઞા મળેલી નથી. માટે અમારાથી શું થઈ શકે? શેઠ ! જો તમે જીવવાથી કંટાળી જ ગયા હો, તો અમારો ઉપાય નથી; પણ હજી પણ જો આર્યશ્રેષ્ઠ રાક્ષસનાં સ્ત્રી પુત્રોનો પત્તો આપતા હો, તો જીવતા છૂટીને