આવવા દેવો નહિ.” એવી રાક્ષસે પોતાના અનુચરોને સખત તાકીદ આપી મૂકી હતી; પરંતુ રાક્ષસને જ્યારે “આપના દર્શન માટે બે સંવાહકો આવેલા છે. તેમનું આપની સાથે એક ઘણું જ મહત્ત્વનું કાર્ય છે - માટે દર્શનનો લાભ આપે આપવો, એવી તેમની વિજ્ઞપ્તિ છે.” એવી પ્રાર્થના કરવામાં આવી, ત્યારે રાક્ષસે પ્રથમ તો ક્ષણ માત્ર વિચાર કર્યો. ત્યાર પછી તે કિંચિત્ હસ્યો અને તેમને અંદર લઈ આવવાની તેણે પ્રતિહારીને આજ્ઞા આપી.
પ્રતિહારી તે બન્નેને જેવો અંદર લઈ આવ્યો, તેવો જ રાક્ષસ તેમનાં મુખોને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો અને પોતાના મનમાં શંકા આવી હતી, તે સત્ય ભાસતાં પોતાનું ડોકું ધુણાવવા લાગ્યો. પછી તેણે તે બન્નેને સવાલ કર્યો કે, “તમે જો ખરેખર સંવાહક હોત, તો તમને “આવો બેસો એમ કહીને માન આપવામાં જરા વાંધો આવત ખરો. પરંતુ તમે સંવાહકો નથી; કિન્તુ આ કૃત્રિમ વેશ ધારીને કોઈ ખાસ હેતુથી મારે ત્યાં આવેલા છો, એ હું સમજી ગયો છું; અને તેટલા માટે જ તમને “આવો બેસો.” કહીને માન આપું છું. બેસો અને જે કાર્ય હોય તે નિઃશંક થઈને કહો. જો કે મારાથી થઈ શકે એવું કાર્ય તો આ વિશ્વમાં હવે કોઈ રહ્યું જ નથી. છતાં જ્યારે કાંઈ પણ આશાથી જ તમે મારે ત્યાં આવેલા છો ત્યારે તમારી વાત મારે સાંભળવી તો જેઈએ જ.”
રાક્ષસનું એ ભાષણ સાંભળીને બન્ને સંહવાકો એકબીજાના મુખ સામું જોઈ રહ્યા. રાક્ષસે તત્કાળ પોતાના છદ્મવેશને એાળખી લીધો, એથી શાકલાયનના મનમાં ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ તે આશ્ચર્ય વિશે વિશેષ કાંઈ પણ ન બોલતાં તે રાક્ષસને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “આપે અમારા છદ્મવેશને ઓળખી કાઢ્યો, એમાં આશ્ચર્ય જેવું કાંઈપણ નથી. કારણકે, કોઈના પણ છદ્મવેશ એાળખવા અને તેમને ન્યાય કરવો, એ તો આપનો પરંપરાનો ધર્મ જ છે. હું એ વિશે વધારે બેાલવું યોગ્ય નથી ધારતો. માત્ર એટલું બોલવું જ બસ થશે કે, ખુલ્લી રીતે આપને ત્યાં આવવામાં જરા ભયનો સંભવ હોવાથી આ મારા સંવાહકની સહાયતાથી આ વેશે હું આપનાં દર્શનમાટે આવેલો છું. હું કોણ છું અને કોણ નહિ, એની એળખાણ આપવા પહેલાં આ સ્થાનમાં એવી ગુપ્ત વાર્તા કરવામાં કશી ભીતિ નથી, એવું આશ્વાસન મળવું જોઈએ.”
“નિ:શંક બોલો. આપ કયા દેશમાંથી અને શામાટે આવ્યા છો ? આપ કોઈ સંવાહક નહિ, પણ રાજપુરુષ છો.” રાક્ષસે આશ્વાસન આપીને પ્રશ્નો પૂછ્યા.