“અમાત્યરાજ ! આવાં વચનો ન ઉચ્ચારો, મેં તમને ફસાવ્યા અને
પોતાના વિશ્વાસુ સ્વભાવથી તમે વધારે પરાજિત થયા, એ ખરું; પણ
તેથી તમારી કીંમત હું નથી જાણતો, એમ તમારે ધારવું નહિ. હું તમારી
ખરી યોગ્યતાને સારી રીતે જાણું છું અને તેથી જ એકવાર પ્રથમ મેં
તમને ભાગુરાયણ દ્વારા વિનતિ કરાવી હતી. ત્યાર પછી બનાવટથી ચન્દનદાસને
વધસ્થાનમાં લઈ જવાનું નાટક ભજવ્યું અને મિત્રસ્નેહથી જો તમારું
મન વળે, તો વાળવું, એવો પ્રયત્ન કર્યો. પણ જ્યારે એ પ્રયત્ન પણ
નિષ્ફળ થએલો જણાયો, ત્યારે તમારા શત્રુઓ સાથે મળી જવાનો તો
વિચાર નથી? એવી શંકા થતાં તેના નિવારણ માટે સિદ્ધાર્થકને સંવાહકનો
વેષ આપીને તે દ્વારા શાકલાયનને શીશામાં ઉતાર્યો અને તે તમારે ત્યાં
આવે એવી વ્યવસ્થા કરીને એ વિષયમાં પણ તમારી પરીક્ષા કરી લીધી.
અર્થાત્ મગધદેશ વિશેની પ્રીતિ અને યવનો પ્રતિના દ્વેષનો તમારા અંત:કરણમાં
જોઈએ તેટલી પ્રબળતા સહિત નિવાસ છે, એ સારી રીતે જાણી
લીધું અને ત્યારપછી જ હું પોતે અહીં તમને વિનતિ કરવાને આવ્યો
છું. એ સઘળી બાબતોપરથી તમારી સહાયતાની અમે કેટલી બધી યોગ્યતા
સમજીએ છીએ, એનો વિચાર તમારે જ કરી લેવો. હવે તો મારી વિનતિને
માન આપી, ચન્દ્રગુપ્તના સચિવપદને દીપાવશો ને? કે હજી પણ કાંઈ
વાંધો છે ?” ચાણક્યે ધીમે ધીમે બધો ભેદ ભાંગી નાંખ્યો.
“ચાણક્ય ! હું તમને અનેક વાર કહી ચૂક્યો છું કે, નન્દવિના હું બીજા કોઈની પણ સેવા કરવાનો નથી. માટે હવે તમે વ્યર્થ આગ્રહ શા માટે કરો છો? મારી પ્રતિજ્ઞા કરતાં બીજી કોઈ પણ વસ્તુ આ વિશ્વમાં મને પ્રિય નથી.” રાક્ષસે આટઆટલું થયા છતાં પણ પોતાનો નિશ્ચય જ કાયમ રાખ્યો.
“બહુ સારું, આ૫ પોતાની એ પ્રતિજ્ઞાનું તો એકનિષ્ઠાથી પાલન કરશો ને? નન્દનો જ કોઈ વંશ જ પાટલિપુત્રના સિંહાસને બેસે, તો તેના સચિવ થઈને તેની સેવાનો તો સ્વીકાર કરશો ને ?” ચાણક્યે કહ્યું.
“હા - મારી એ પ્રતિજ્ઞા દૃઢ છે. જો નન્દનો કોઈ પણ વંશ જ મળી આવશે, તો અત્યંત આનંદથી હું તેની સેવાનો સ્વીકાર કરીશ. ચાણક્ય ! તમે જો કે કુટિલ નીતિમાં નિપુણ છો, પણ હું તમારી કુટિલ નીતિની જરા રતિ પણ ભીતિ ન કરતાં સ્પષ્ટતાથી કહી દઉં છું કે, જો કોઈ નન્દવંશનો નાનામાં નાનો અંકુર પણ મારા જોવામાં આવશે, તો તો હું તેનું કાયા, વાચા અને મનથી સંરક્ષણ કરીશ. તેના લાભ માટે ગમે તેવા કઠિનમાં