બાલમંદિરનો શિક્ષક નોકરને પૂછે છે : “તું રડે તો ગાંડો કહેવાય કે નહિ ?”
નોકર કહે : “ના, હું ન કહેવાઉં.”
શિક્ષક કહે : “ત્યારે આ બાળક શાનું કહેવાય ?”
નોકર : “બાળક તો કહેવાય.”
શિક્ષક : “એટલે બાળક રડે તો ગાંડું બની જાય, એમ તું ધારે છે ?”
નોકર : “ના, ગાંડું તો ન થઈ જાય; પણ તે રડે ત્યારે તેને એમ કહેવું જોઈએ કે રડીશ તો ગાંડો કહેવાઈશ.”
શિક્ષક : “એમ શા માટે કહેવું ?”
નોકર : “કેમ કે એમ કહેવાથી બાળક રડતું મટી જાય.”
શિક્ષક : “પણ બાળકને એમ નહિ લાગે કે જો રડીશ તો ગાંડો કહેવાઈશ; અને તેમ તેના મનમાં લગાડવું એ તો ખોટું કર્યું કહેવાય !”
નોકર : “ખોટું કે સાચું, અમારે તો બાળકોને જેમતેમ કરીને ઠેકાણે રાખવાં જોઈએ ના ? બાલકો તો એવાં છે કે ઘડીએ ને પહોરે રડ્યા કરે. રડવા દઈએ તો તમે ખિજાઓ, શેઠ અને શેઠાણી ખિજાય; પછી આવું કંઈક લાવવું જોઈએ ના ?”
શિક્ષક : “પણ શેઠ તને આવું કહેતાં સાંભળે તો ધમકાવે કે નહિ ?”
નોકર : “ના, રે; શેઠ અને શેઠાણી બન્ને બાળકને એક સો ને એક વાર કહે છે કે રડીએ તો ગાંડા કહેવાઈએ !”