આ પ્રમાણે જગન્નાથપંડિત વ્યાખ્યાન કરે છે એટલામાં આકાશમાં વાદળ ચડી આવ્યું અને ચોમેર ઘનઘોર થઇ રહ્યું. આ જોઇ સઘળાંના મન રાજી થયાં, કેમકે ઉન્હાળો જઇને ચોમાસું બેઠું હતું અને લોકો ક્યારના વરસાદની ફિકર કરતા હતા. સઘળા હરખથી આકાશભણી જોવા લાગ્યા. બાદશાહે કહ્યું કે ફૈઝીમ, તું કાંઇ આ પ્રસંગને ઔસરતી કવિતા કર. ફૈઝીનું અંતઃકરણ આ ઇશ્વરલીલા જોઇને ઉભરાઇ રહ્યું હતું અને તેથી તે નીચે પ્રમાણે બોલ્યો:-
ભાવાર્થ:- આખી પૃથ્વી તૃષાતુર થઇને પાણી પાણી કરી રહી હતી તેથી પરમેશ્વરે અધર ઉઠાવીને તેના માથા ઉપર દરિયાનેજ લાવીને મૂક્યો અને વળી તે ખારો હતો તેને મીઠો કર્યો. ધન્ય છે સૌના મહાદયાળુ ધણી ઈશ્વરને!
બાદશાહ બોલ્યા કે ફૈઝીએ બહુ મઝેની વાત કહી. બેરબલ કહે, મહારાજ, એ સાહિત્યના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. એમાં જે કહ્યું તે બોલેબોલ ખરૂં છે અને તે બોલેબોલમાં રસ છે. દરિયામાંથી ખારૂં પાણી મીઠું થઈને ઉંચે ચડે છે અને અધરનું અધર આપણે માથે આવીને ઉભું રહે છે એમાં કાંઈ ખોટું નથી. ખરી કવિતાવાળી ઇશ્વરસ્તુતિ તે આનું જ નામ!
એવામાં મંદ મંદ પવન આવવા લાગ્યો અને મેઘરાજા લાવલશકરની સાથે પધાર્યા. એ મઝા લેવાને બાદશાહ ઝરૂખામાં જઈને બેઠા, અને બીજાઓ ફરતા ફરતા ત્યાં ઉભા રહ્યા. સઘળાના જીવમાં આનંદ આનંદ થઇ રહ્યો અને થોડા વખત સુધી કોઇ કાંઈપણ વાત અક્રવાનું સૂઝ્યુ નહિ. પછીથી રાજા ટોદરમલ્લ બોલ્યા કે વાહવા ! દુનિયાં આબાદ થઇ ગઇ ! અકબરશાહે કહ્યું કે "રાજા તો મેઘરાજા, ઔર રાજા કાયકા" એમ જ કહેવાય છે તે ખરૂં જ છે. બીજા કોની મગદૂર છે કે એક પલકમાં દુનિયાંને આ પ્રમાણે આબાદ કરી શકે.
જગન્નાથે કહ્યું કે, મહારાજ ખરૂં કહો છો. રાજનિતીમાં પણ મેઘરાજને વખાણ્યો છે.
અથ:- હે, ઉંચા કુળના રાજપુત્ર, રાજ કેમ ચલાવવુમ્ તે તું મેઘરાજાની પાસેથી શીખ. તે લોકો પાસેથી લે છે તે કોઇને કાંઇ પણ જણાતું નથી અને આપે છે તે તો બધાને સાક્ષાત સુખરૂપ માલમ પડે છે.
ટોડરમલ્લે કહ્યું, એ બરાબર વાત છે. મેઘરાજા વરાળરૂપે બધા પાસેથી પાણી ખેંચી લે છે તે કોઈને કાંઇજ જણાતું નથી, પરમ્તુ જ્યારે વૃષ્ટિ રૂપે તેનું તે જ પાની જગતને પાછું આપે છે ત્યારે વાહવા થઈ રહે છે. વજવેરા ઉઘરાવવાની ખરી રીત એજ છે. એનો પહેલો નિયમ એવો છે કે તે સઘળા પાસેથી લેવા અને પક્ષાપક્ષીથી કોઇને બાતલ આખવા નહિ. એ બાબતતો પંડિતરાજે પ્રથમ જ કહ્યું હતું કે, "दरिया अरु दुआत"