મૂકી દે. જગન્નાથ કહે, ચંદ્રને તો આરંભમાંજ બોધ મળ્યો છે, તેથી ક્ષીણ થાય છે તો ખરો, પણ પાછો પોતાની મેળે જ સમજીને વૃદ્ધિ પામે છે, અને મને આશા છે કે બીરબલ પણ તેમજ કરશે. તે છતાં આપની આજ્ઞા છે તો પહેલાં એક દુહો મારે પોતાને માટે જ કર્યો હતો તે બોલું છું.
क्यौंहि किई क्षीण सब कला ? सुन शठके कटु बैन ?
रसदर्शीकी नज़रमें, अमृत पें तुं ऐन.
ભાવાર્થ :-તેં તારી સઘળી કળા ક્ષીણ કેમ કરી નાંખી ? શું શઠ માણસના કડવા બોલ સાંભળીને ? એમ તારે કદી કરવું નહિ, કેમકે રસના સમજવાવાળાની નજરમાં તો તું સદા અમૃતથી પણ સરસ છે.
આ દુહો ચંદ્ર અને કવિ એ બંનેને સરખીજ રીતે લાગુ પડે છે. શરદપૂનમની રાત્રિએ કેટલાંક માણસો ભેળા થઇને ચાંદનીમાં ખાતા હતા. બધા આનંદમાં તલ્લીન થઇ ગયા છે તે વેળા તેમાંથી કોઈ નીરસ માણસ બોલી ઉઠ્યો કે ચંદ્ર ગમે તેવો ખીલે પણ એમાં પેલું કલંક છે તે કાંઇ ઢાંક્યું રહેતું નથી. આ પ્રસંગે આવું વચન બધાને વસમું લાગ્યું પણ કોઇ બોલ્યું નહિ. પંદર દહાડા પછી તેઓ પાછા દીવાળીને દિવસે રાતને સમે મળ્યા. તે વેળા જુએછે તો ચંદ્રની સઘળી કળા નાશ પામી ગએલી અને આકાશમાં અંધારું ઘોર તે ઉપરથી તેમાંના કોઇ રસિક માણસે કાંઇક રીસ તથા ઉદાસીની સાથે ઉપલો દુહો કહ્યો.
કવિપક્ષે તો એનો અર્થ સ્પષ્ટજ છે. શઠ લોકનો અનાદર જોઇ ,મનમાં મૂઝાઇને કોઇ કવિ પોતાની કાવ્યકળા પ્રકાશતો બંધ પડ્યો હશે તેને કોઇ રસના સમજનારે ઉત્તેજન આપવા ઉપર પ્રમાણે કહ્યું.
બીરબલ અત્યાર લગી તો ચુપ બેસી રહ્યો હતો, પણ આ પ્રસંગે તેનાથી બોલ્યા વિના રહેવાયું નહિ. એણે કહ્યું, પંડિતરાજે બે અર્થ તો બરાબર લગાવ્યા, પણ હું ધારૂં છું કે જે અર્થે એમણે એ દુહો મૂળ રચેલો તે તો કાંઇ જુદોજ હશે. જગન્નાથે હસીને કહ્યું કે બીરબલે પરીક્ષા તો સારી કરી. એનો અર્થ શૃંગારપક્ષે પણ થઇ શકે છે. એમાં ખંડિતા પ્રતિ દક્ષનાયકની ઉક્તિ છે.
પછીથી સભામાં ચર્ચા ચાલી કે લોકમાં નિંદા થાય તેથી ડરી રહેવું એ સારૂં કે પોતાની નજરમાં જે યોગ્ય લાગે તે કર્યાજ જવું. કોઈ કહે કે જગતનો સ્વભાવ તો છિદ્ર શોધવાનોજ છે અને તેના બોલવા ઉપર કાંઈ લક્ષ આપવું જોઇએ નહિ. કોઇ કહે કે પંચ ત્યાં પરમેશ્વર, ને પાંચ માણસ ખોડ કાઢે તો તે ખરીજ જાણવી. બીરબલના સામાવાળીયામાંથી કોઇ તજવીજથી એમ પણ બોલ્યો કે ચંદ્રમાં કલંક છે તોજ કોઇની પણ તે કહેવાની હિંમત ચાલેછે કેની ? આ ઉપરથી બીરબલને ગુસ્સો ચડ્યો ને તે નીચે પ્રમાણે બોલી ઉઠ્યો :-
मृदुमयंककलंक जन, ताकत भाखत मुख;
दुष्ट दृष्टि नहि कर शके. शूर सूर सन्मुख.
અર્થ :- ચંદ્ર કોમળ સ્વભાવનો છે તેથી તેનું કલંક માણસ તાકી તાકીને જુએ છે