નઠારી થવી એ મૂળ ધણીના ગુણ ઉપર આધાર રાખતી નથી, પણ સામા માણસના સ્વભાવ ઉઅપર આધાર રાખેછે.જેમકે જગન્નાથપંડિત, મુલ્લાફૈઝી વગેરેની અકબરશાહ ખૂબી ગણેછે અને મુલ્લાં ઝનૂનુદ્દીન જેવા નિંદા કરે છે તે બધાનું કારણ એજ કે પંડિતો તો એના એજછે, પણ એની કદર જાણનારની પાત્રતા જુદી જુદીછે. તે ઉપરથી બીરબલ બોલ્યો કેઃ
पूरन परावर्तन करत, किरन मनीमानीक;
झले झरा न जलैं यदि, पत्थर जो अरसिक.
અર્થઃ- મણિમાણેક જે છે તે પોતાની ઉપર પડેલાં કિરણોને સંપૂર્ણ રીતે પરાવર્તન પમાડેછે, અને પત્થર જે અરસિક છે તે કદી બળી જાય તોપણ જરાએ ઝલે મારતો નથી. જગન્નાથે કહ્યું કે રાજા ટોડરમલ્લે બહુ ડાહી વાત કરી.કીર્તિ એ ગુણનું ખરેખરૂં પરાવર્તન જ છે. ગુણ હોય નહિ તો પરાવર્તન પડેજ નહિ. અને હોય તો પડ્યા વિના પણ રહે નહિ. તે કેટલું ને કેવું પડે તે પાત્રતા ઉપર આધાર રાખે છે, ગુણની ઉપર નહિ.
शुद्ध सुगुनरुप सुरज इक, विविध कीर्ति प्रतिबिंब;
लाल लीलम मिट्टी स्फटिक अंबुआदि आलंब.
અર્થઃ-સુગુણરૂપી સૂરજ તો નિર્મળો એકજ છે, પણ તેનાં કીર્તિરૂપી પ્રતિબિંબ લાલ લીલમ, સ્ફટિક, માટી , પાણી વગેરે જૂદા જૂદા પદાર્થનું આલંબન પામે છે તે પ્રમાણે જૂદાં જૂદાં પાડે છે.
ફૈઝીએ કહ્યું કે ખૂબ કહી, જેમ સૂરજનાં કિરણો નિર્મળ છે તો પણ લાલમાંથી જોતાં લાલ, લીલમમાંથી જોતાં લીલાં, સ્ફટિકમાંથી ચળકતાં ધોળાં, માટીમાંથી શૂન્ય અને પાણીમાંથી કેવળ નિર્મળ દેખાય છે, તેમ ગુણીજન તો એકનો એક હોય છે પણ તેને જૂદા જૂદા માણસો જૂદે જૂદે ભાવે જોય છે. પ્રસંગ જોઈ બીરબલે અટકચાળું કર્યું કે મિયાંલબ્બે, "લાલલીલમ મિટ્ટી સ્ફટિક" એમાંથી તમને શેમાં ગણવા, અને એમ બોલતાં "મિટ્ટી" શબ્દ પર એવો ભાર મૂક્યો કે એના પશ્નો જવાબ તેમાંજ આવી રહ્યો. મિયાં સાહેબ તો બિચારા અમાસ પુનેમની બાબતમાં પોતાની ભૂલ થઈ હતી તેના હૈયાશોકમાંજ ગિરફ્તાર હતા, અને તેમાં આ બીજો સપાટો સાંભળી છેકજ ગભરાઇ ગયા. તેથી જવબ દેવા માંડ્યો પણ કાંઇ બોલાઈ શક્યું નહિ, અને પેલી અમાસ પુનેમની વાત મનમાં ઘોળાયા કરતી હતી તેથી ગભરાટમાં "કાળી પુનમની રાત" એમજ બોલાઇ ગયું. આ સાંભળી આખી સભા હડખડ હસી પડી, અને મિયાંલબ્બે છેક રડવા જેવા થઈ ગયા.
એ વેળા ઉદાર બીરબલ પોતેજ એની મદદે આવ્યો એણે કહ્યું કે સાહેબ, મિયાંલબ્બે તો સમશ્યા પૂછેછે અને કહેછે કે છેલ્લું ચરણ 'કાળીપૂર્નિમા રાત્ર' એવી એક આ પ્રસંગને અનુસરી કવિતા બનાવો.