મળ્યું. તેઓ બાદશાહી પ્રાંત ઉપર રાજ્ય કરતા અને બાદશાહી લશ્કર ઉપર સરદારી કરતા. એઓને બાદશાહના ગુહ્ય મંત્રમાં સામેલ રાખવામાં આવતા કેમકે તેનો મુખ્ય હેતુ–પૂર્વની બધી તકરારો અને એક બીજા ઉપરના વહેમો તોડી નાંખી પોતાના તંત્રમાં દાખલ થાય તેવા સ્થાનિક રાજાઓની ખરી સત્તા જરા પણ ઓછી કર્યા વિના, જે પ્રાંતો આજ સુધી એક બીજાથી જૂદા અને શત્રુતાના સંબંધમાં હતા તેમને એકઠા કરવાનો અને કોઈને પણ માન મરતબામાં નુકશાન ન થાય એવી રીતે એક સર્વોપરિ માલીક નીચે સંયુક્ત કરવાનો હતો.
આ હેતુ પાર પાડવામાં એક ઉપાય અકબરે કામે લગાડયો તે એ હતો કે પોતાની સાથે તેમજ પોતાના કુટુંબમાં દેશી રાજાઓની કન્યાઓનો વિવાહ સંબંધ કર્યો. તે જાણતો હતો કે લગ્ન જેવું બીજું કોઈ સમીકરણનું સાધન નથી. રજપૂત બાદશાહોને એટલું લાગ્યા વિના રહેલુંજ નહિ કે ગાદીના વારસ સાથે અને કેટલીકવાર ગાદીની સાથે પોતાનો સંબંધ થાય તેથી તેમની પોતાની સ્થિતિ પણ નિર્ભય બને છે.અકબરના રાજ્ય પહેલાંની હિંદની સ્થિતિ ઉપર જ્યારે તેઓ વિચાર કરે અને જુએ કે પૂર્વના પાંચ સૈકાના મુસલમાન વિજયથી હિંદમાં કજીઓ અને કંઈ પણ ગ્રંથિને અભાવે ગેરબંદોબસ્ત દાખલ થયો હતો; અને આ મનુષ્ય–તેમની સાથે એક અનુભવ વિનાનો અને રાજ્ય કરવાની કળામાં અણકસાયેલ કુમાર તરીકે આવ્યા છતાં પણ જ્યાં જ્યાં પોતાનો જય થયો ત્યાં ત્યાં બંદોબસ્ત સદ્વ્યવસ્થા સમાનભાવ અને ન્યાય દાખલ કરતો ગયો; વળી એના વિજયો પણ એટલા માટેજ થતો કે આવાં ધોરણો દાખલ કરાય; અને જાતિભેદ અથવા ધર્મમાં મતભેદને લીધે એ કાંઈ પણ તફાવત ગણે નહિ એ જ્યારે તેઓ વિચાર કરે–ત્યારે ઈશ્વરના અવતારને માનવાવાળા તેઓ–અકબરની રીતભાતમાં સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ કંઇક ઈશ્વરી સર્વજનહિતકારિતા દેખેજ એ સ્વાભાવિક છે.
એનો સમાનભાવે એટલો નીખાલસ હતો, એના વિશ્વાસ એકવાર મૂક્યા પછી એટલો તો સંપૂર્ણ હતો એનાં નીતિતત્વો એટલાં તો મોટાં અને ઉદાર હતાં કે જન્મધર્મના ભેદ એના આસપાસના પ્રસંગોની વિષમતાઓ છતાં