વળતા વરસથી શરૂ થયો તે આઠ વરસ લગી ચાલ્યો. બધું જોતાં એ પ્રયત્ન સફળ થયો. દૌલતાબાદ, ખેરવા, નાસીક, અસીરગઢ અને અહમદનગરનાં મજબૂત શહેરોએ બાદશાહી લશ્કર સારૂ લાંબા ઘેરા પછી દ્વાર ઉઘાડ્યાં. અને જો કે અહમદનગરના તાબાના પ્રાન્તો સને ૧૮૩૭ સુધી છેક વશ થયા નહોતા તોપણ અકબરે મેળવેલી આ સ્થિતિનું મહત્ત્વ મુગલને મળ્યું જે એક સૈકા સુધી મુગલના હાથમાં રહ્યું.
દક્ષિણ હિંદુસ્તાનની સવારી ત્રણ બાબતો માટે પ્રખ્યાત થયેલી છે. (૧) હિંદના જુદા જુદા ભાગોમાંથી મોકલેલા સ્વતંત્ર રીતે આ સવારીમાં સામેલ થવા સારૂ એકઠા થયેલા સરદારોમાં તકરાર ઉઠી જેથી બાદશાહને આગ્રેથી પોતાના વિશ્વાસુ પ્રધાન અબુલફઝલને મોકલવાની જરૂર પડી અને પછીથી પોતાને પણ જવું પડ્યું. (૨) શાહજાદો મુરાદ જાલના આગળ બેહદ દારૂ પીવાથી મરણ પામ્યો. (૩) આગ્રે પાછા ફરતાં, અકબરના જીવતા પુત્રમાં જ્યેષ્ઠ અને યુવરાજ શાહજાદા સલીમની ઉશ્કેરણીથી અબુલફઝલનું ખૂન થયું.
અકબર છેલ્લાં ચૌદ વર્ષ થયા પોતાનો દરબાર લાહોરમાં ભરતો હતો પણ સને ૧૫૮૮માં દક્ષિણના અગત્ય મામલાએ એને ત્યાં જવાની ફરજ પાડી. અહમદનગર અને આસીરગઢને શરણ થવાની એણે ફરજ પાડી અને શાહજાદા દાનીઆલને ખાનદેશ અને વરાડની સૂબાગીરી ઉપર નીમીને અને અબુલફઝલને અહમદનગરના તાબાના મુલકો સર કરવાનું કામ પૂરૂં કરવાનો હુકમ આપીને ૧૬૦૧ના વસંતમાં તે આગ્રે આવવા નીકળ્યો.
જે સંજોગોએ અકબરને આગ્રે આવવાની જરૂર પાડી તે બહુ દુઃખદાયક હતા. શાહજાદો સલીમ છેક નાનપણમાંથી અકબરને અત્યંત ચિંતા કરાવતો આવ્યો હતો. આ ચિંતા તે ઉમર લાયક થવા આવ્યો ત્યારે પણ દૂર થઈ નહિ. સલીમ જેને પછીનો જમાનો જહાંગીર બાદશાહ તરીકે વધારે ઓળખે છે, તે સ્વભાવથીજ ક્રૂર હતો અને પોતાના રાગદ્વેષ ઉપર કાંઈ પણ અંકુશ રાખવાને અસમર્થ હતો. એને અબુલલફઝલ ઉપર દ્વેષ હતો. એનું ખરૂં કારણ તો એજ કે પોતાના પિતાની સાથે અબુલફઝલની લાગવગની તેને