ફૈઝીનો તો નાસવાનો વિચાર પણ નહોતો; પણ અકબરની છાવણીમાં તો તેને કેદી તરીકે લઈ ગયા. પ્રતાપી અકબર એને વિનયથી મળ્યો અને એની બહુદેશી બુદ્ધિથી મોહ પામીને પોતાના શાહજાદાઓની ઊંચી વિદ્યાના ગુરુ તરીકે પોતાના દરબારમાં થોડી મુદતમાં રાખ્યો. કોઈ કોઈ વાર એલચીનું કામ પણ એને સોંપવામાં આવતું.
ફૈઝીને મળતો પુષ્કળ વખત એ કાવ્ય રચવા પાછળ ગાળતો. તેત્રીસમા વર્ષમાં રાજકવિના જેવા એક હોદ્દા ઉપર એની યોજના થઈ. સાત વરસ પછી એ મરણ પામ્યો. તે દરમિયાન એ અકબરની કૃપાથી કદી પણ ભ્રષ્ટ થયેલ નહતો. એના સહવાસમાં અકબર આનંદ માનતો અને એની વાતચીતમાં હર્ષઘેલો થઈ જતો. એવું કહેવાય છે કે એણે એકસોને એક ગ્રંથો રચ્યા છે. ચાર હજાર અને ત્રણસેં ચુનંદા હસ્તલેખવાળો એનો સુંદર ગ્રંથસંગ્રહ બાદશાહી સંગ્રહમાં જોડી દેવામાં આવ્યો.
શેખફૈઝી ઉપર અકબરની પૂર્ણ કૃપા હતી, પણ અઈનઇ–અકબરીના કર્તા શેખ અબુલફઝલ ઉપર અકબરની કૃપા વિશેષ હતી. અબુલફઝલ ૧૫૫૧ માં આગ્રામાં જન્મ્યો હતો. એને પણ એના ભાઈની પેઠે પોતાના પિતાના ઉમદા અને સર્વદેશી શિક્ષણનો સારો લાભ મળ્યો હતો. પ્રભાવવાળા અતઃકરણે સ્વતંત્ર વિચાર કર્યા પછી સ્વીકારેલા મતોને લીધે પોતાના પિતા ઉપર બહિષ્કાર અને તેથી પણ વિશેષ દુઃખ પડ્યું હતું. તે તેણે લક્ષમાં લીધું હતું અને મનમાં તો એ વાતથી એને રોષ પણ ઉપન્ન થયો હતો. બાળક મન ઉપર આની અસર એ થઈ કે સર્વ ધર્મ માટે સમાન સદ્ભાવ રાખવાના ગુણની યોગ્ય તુલના થઈ અને આગળ પાછળના સંજોગોના દબાણને લીધે પોતાના અભ્યાસ ઉપર અપૂર્વ શ્રમ લેવાનું ઉત્તેજન મળ્યું. પંદરે વર્ષે ન્યાય અને કર્ણપરંપરાથી પ્રાપ્ત સર્વ શાસ્ત્રોનો અભ્યાસ એણે પૂરો કર્યો અને વીસ વર્ષનો થયો ત્યાર પહેલાં તો તેણે શિક્ષાગુરુ તરીકે ધંધો ચાલુ કર્યો હતો.
શુભનામવાળા સ્વર્ગસ્થ પ્રોફેસર બ્લોકમાન લખે છે કે “આ વખતે પણ એનું જ્ઞાન કેટલું બહોળું હતું તે જણાવવા એક નીચેનો બનાવ મળી