રજુ કરી: રાજા પોતાની પ્રજાનો માત્ર ઐહિક નહિ પણ પારલૌકિક વિનેતા
તરીકે પણ લેખાવો જોઈએ કે કેમ ?
આ મત કુરાન સર્વ મનુષ્યકૃત ગ્રંથમાં શ્રેષ્ઠ છે એ ઇસ્લામના મુખ્ય ધોરણનો વિરોધી હતો. અબુલફઝલની ચર્ચાનો મુખ્ય મુદ્દો પૂર્વના વાદોમાં મુસલમાન વિદ્વાનોના કુરાનના કેટલાક ભાગોના અર્થમાં મતભેદ થયા છે એટલુંજ નહીં પણ મહમદની નીતિ સંબંધી પણ એમનામાં મતફેર છે, એ વાતમાં સમાયેલો હતો. આથી અબુલફઝલની તકરારથી ઉઠેલું તોફાન ભયંકર હતું. તે દિવસે હાજર હતા તેમાંનો કોઈ પણ વિદ્વાન કે શાસ્ત્રવેત્તા એવો નહતો કે જેણે આ દરખાસ્ત ઇસ્લામના મુખ્ય તત્વનો વિરોધ કરનારી છે એમ લેખ્યું નહોય. તેમ એમાંના વધારે સૂક્ષ્મબુદ્ધિ અને શાન્ત મિજાજના વિદ્વાનોએ એમ પણ લેખ્યું હતું કે પ્રથમની તકરારોમાં દર્શાવેલા વિચારો સ્પષ્ટ ન્યાય અને ઉત્કૃષ્ટ ધર્મની અવગણના કરનારા છે.
પણ હવે અકબરની સત્તાનો જેમાં સમાવેશ થયેલો છે તે દરખાસ્ત સ્હામે તેમનાથી વાંધો પણ કેમ લેવાય ? આ મુશ્કેલીમાં એ એવા ઠરાવ ઉપર આવ્યા કે જે તેઓના માનવામાં તોડ રૂપે હતો એમ છતાં ખરી રીતે આખા સવાલનું નિરાકરણ કરનાર નીવડ્યો. એમણે એક એવો લેખ ઘડી કહાડ્યો કે જેમાં અકબર બાદશાહ એક ઇન્સાફી રાજ્યકર્ત્તા છે એવી ખાત્રી દર્શાવવામાં આવી અને તેને મુજતાહીદ એટલે કે ઈસ્લામ સંબંધી દરેક બાબતમાં પ્રમાણ પુરુષની પદવી આપવામાં આવી. આ કબુલાતથી અબુલફઝલનો ધારેલો હેતુ સફળ થયો, કેમકે તેની સરત મુજબ ઈન્સાફી રાજાની બુદ્ધિ એ કાયદાનું એકજ મૂળ છે એમ નક્કી ઠર્યું. અને બધા વિદ્વાનો તેમજ ધર્મ શાસ્ત્રીઓનો સમુદાય ધર્મ સંબંધી બાબતોમાં અકબરના ઠરાવને વશ રહેવા બંધાયા.
અબુલફઝલ અકબરનામામાં લખે છે કે આ લેખથી ઘણાં ઉત્તમ પરિણામો આવ્યાં.
(૧) બધા ધર્મના આપ્ત પુરુષો અને વિદ્વાનોને એકઠા થવાની એક જગા જેવો હવે અકબરનો દરબાર થઈ રહ્યો. બધા ધર્મના સદ્વિચારોની