એવું નામ આપ્યું છે તેનું તે વખતે અકબરના દરબારમાં ચાલતી ફારસી ભાષામાં ભાષાંતર કર્યું હતું; અને એક નકલ અકબરને ભેટ આપી હતી. એના વખતના બીજા વિદ્વાનોમાં તબાકત્–ઈ–અકબરી એટલે અકબરના રાજ્યનો ઈતિહાસ લખનાર નીઝામ–ઉ–દીન; તરીખી–ઈ—અલ્ફિ એટલે એક એક હજાર વર્ષ સુધીના ઇસ્લામ ધર્મના ઇતિહાસના લખનારા અને સર્વને માથે ધર્મચુસ્ત ઇતિહાસકાર–તરીખ–ઈ–બદૌની-એટલે બદૌનીના વખતનો હેવાલ એ પુસ્તકનો લખનાર તથા કાશ્મીરના એક ઇતિહાસને તપાસી જઈ ફરીથી લખનાર, અબદુલકાદીર બદૌની, એ હતા.
બદૌની એક પ્રતાપી પુરુષ હતો. એ અકબરથી બે વર્ષ મોહોટો હતો. છેક જુવાનીમાંથી તેણે તેના વખતના પ્રખ્યાત અને ધાર્મિક વિદ્વાનો પાસે ભિન્ન ભિન્ન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. અને સંગીત ઈતિહાસ અને ખગોળ શાસ્ત્રમાં ઊંચી પદવીને પામ્યો હતો. એનો સ્વર મધુર હોવાથી શુક્રવારને માટે દરબારી ઈમાન-તરીકે એની યોજના થઈ હતી. ચાળીસ વર્ષ સુધી બદૌની શેખ મુબારક તથા તેના દીકરાઓ ફૈઝી અને અબુલફઝલ સાથે દરબારમાં રહ્યો પરંતુ બદૌની ચુસ્ત મુસલમાન હોવાથી આ બન્નેને ધર્મદ્રોહી માનતો તેથી તેમની વચ્ચે જરાપણ ખરી મિત્રતા બંધાઇ ન હતી. અકબરની આજ્ઞાથી તેણે મૂળ સંસ્કૃતમાંથી રામાયણ તથા મહાભારતના કેટલાક અંશનું ફારસીમાં ભાષાંતર કર્યું હતું. તેની ઉપર ગણાવી ગયા તે તરીખ–ઈ–બદૌની નામનો ઇતિહાસ ગ્રંથ અકબરના ધર્મ સંબંધી વિચારો ઉપર પોતાની ટીકાથી તથા અકબરના રાજ્યના પ્રસિદ્ધ માણસોના ટુંકા હેવાલોને લીધે ખાસ કરીને કિંમતી છે.
બદૌની અકબર બાદશાહની પૂર્વે અગીઆર વર્ષ ઉપર મરણ પામ્યો હતો અને એનો મોટો ગ્રંથ જે તેણે બહુ કાળજીથી છુપાવી રાખ્યો હતો તે જહાંગીરના રાજ્યનો કેટલીક વખત વીત્યા પછી પ્રસિદ્ધ થયો. અકબરના નૂતન ધર્મ ઉપર ધિઃકારવાળા ચુસ્ત મુસલમાનોને તે ગ્રંથ ઉપર બેહદ પ્રીતિ હતી. અને જેમ જેમ એ ધર્મની નૂતનતા શમી ગઈ અને વિચારભેદ માટે ઉપદ્રવ થવા માંડ્યો તેમ તેમ તે ગ્રંથની કીમત દિવસે દિવસે વધવા માંડી.