ફૈઝી અને અબુલફઝલની સંગતથી દૃઢીભૂત થયેલા અકબરમા સહજ ઉદાર નીતિતત્ત્વોની આ બાદશાહે દાખલ કરેલી રાજ્યવ્યવસ્થાની પદ્ધતિ ઉપર શી અસર થઈ તેનો હવે વિચાર કરીએ. આજ પ્રકરણમાં પહેલા ‘મેં મારી કારકીર્દિમાં મારે હાથે ઘણા બ્રાહ્મણોને એક વખત મુસલમાન ધર્મ પાળવાની ફરજ પાડી છે’ એ મતલબનું અકબરનું વચન લખાઈ ગયેલું છે. અકબર પંડેજ કહે છે એટલે એમ બન્યું હશે પણ આ લેખકને આવી રીતે કોઈને બળથી ધર્મભ્રષ્ટ કર્યાની કંઈ નોંધ હાથ આવી નથી. જ્યારે તે બાળવયનો હતો અને મુખ્ય સત્તા બેરામના હાથમાં હતી ત્યારે જ એ પ્રમાણે બનેલું હોવું જોઈએ. જે ક્ષણથી એણે સત્તા હાથમાં લીધી એટલે–જે દિવસે સર્વસત્તાધીશ બેરામખાંને મક્કે જવાની રજા આપી તે જ ક્ષણે તેણે હિંદુ અને મુસલમાનોને કંઈ પણ ભેદ વિના પિતાની નોકરીમાં રાખવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. અને આ નિશ્ચયમાંથી એ કદી પણ હઠ્યો નહિ. પોતાના રાજ્યના સાતમા વર્ષમાં જ્યારે તે પચીસ વર્ષનો હતો ત્યારે અકબરે, પરાભવ પામેલાનાં બૈરાં–છોકરાંને વેચવાની અથવા ગુલામ તરીકે પોતાની પાસેજ રાખવાની, રજા આપવાનો પોતાના વિજયશીલ લશ્કરને તે વખત સુધી ચાલતો આવેલો રિવાજ નાબુદ કર્યો. શત્રુની ગમે તેવી કસુર હોય તો પણ તેમનાં બૈરાં–છોકરાં તથા તેનાં માણસોને તેમને પોતાને અથવા તેમનાં સગાંસંબંધીઓને ઘેર જ્યાં મરજીમાં આવે ત્યાં જવાની પૂરી છૂટ એક બાદશાહી ઢંઢેરાથી મળી. ‘મોટો કે નાનો ગમે તે હોય પણ તેને ગુલામ કરવો નહીં.’ ઉદાર મનના બાદશાહે એવી દલીલ કરી કે જે ધણીએ ખોટો રસ્તા પકડ્યો તો તેમાં તેની સ્ત્રીની શી કસૂર ? જે બાપે રાજદ્રોહ કર્યો તો તેમાં છોકરાંનો શો વાંક ?
બીજા પણ દુષ્ટ રીવાજોને સુધારવામાં આજ ઉદાર અને દીર્ધદષ્ટિવાળી નીતિ આટલાજ બળથી ચલાવવામાં આવી. બીજે જ વર્ષે એટલે એના રાજ્યના આઠમાજ વર્ષમાં અત્યંત ઉપજવાળો પણ એના મત પ્રમાણે પોતાની હિંદુ પ્રજાના મનને દુઃખ લગાડે એવો એક વેરો કહાડી નાંખવાનો એણે વિચાર કર્યો. હિંદુ જેવા યાત્રાળુ લોકો આખા જગતમાં કોઈ નથી; એમનાં પ્રત્યેક પવિત્ર મંદિરમાં કોઈ ખાસ દેવ હોય છે અને તેમાં પણ વળી કોઈમાં