ધોરણો ઉપર શેરશાહની રીત રચાઈ હતી. અકબરે ધારેલું કામ આ રીતની દરમિયાન ન આવતાં એનાં ધોરણોને યથાસ્થિત કરવાનું હતું. અને આ હેતુથી એણે પહેલાં વપરાયલાં ભિન્ન ભિન્ન ધોરણોને બદલે એક ધોરણ નક્કી કર્યું.
અઇનકાર લખે છે કે, આ પ્રસશ્ય પ્રબંધથી અધિકારીઓના મતનો અનિશ્ચય ભાગ્યો. પ્રજા જૂદી જૂદી જાતના જુલમથી મુક્ત થઈ, ઉપજ વધી અને રાજ્ય આબાદ થયું. તેમજ, અકબરે માપણી માટે, સુધરેલાં સાધનો વાપર્યાં. આખા રાજ્યની ખેડવાણ જમીનની નવેસરથી માપણી કરી. અઈનકાર કહે છે કે દરેક વિઘા દીઠ અધમણ દાણા રાજ્યભાગ તરીકે તે લેતો. વરસ જતાં આ ભાગ નાણાંના રૂપમાં તે લેવા લાગ્યો. દરેક પરગણામાં એ રાજ્યના પશુઓ માટે, ખેડુતોને બીમાં આપવા માટે, વખતે દુકાળ પડે તો કામમાં આવે તે માટે, અને ગરીબોને અન્નદાન માટે, દાણાના કોઠારે ભરાવી રાખતો. અને આ કોઠારો વિશ્વાસપાત્રતાને માટે ખાસ પસંદ કરેલા અધિકારીઓને સોંપાતા.
તેના અમલના પ્રથમના ભાગમાં ફળદ્રુપતાના પ્રમાણમાં જમીનના ત્રણ વર્ગ પાડ્યા હતા અને દરેક વર્ગના અકેક વીઘાની ઉપજની નીકળેલી સરાસરી પ્રમાણે દર નક્કી થતા. પરંતુ જો આવી રીતે નક્કી કરેલા દરથી કોઈ ખેડુ નારાજ થાય તો પોતાની ઉપજની જુદી કીંમત તે ઠરાવી શકતો. એજ રીતે જમીનની જાતના પ્રમાણમાં દરની સમતા સિદ્ધ કરવા સારૂ તથા જમીન બોળાણ જાય કે એવા બીજા દૈવયોગથી થતા નુકસાનમાંથી ખેડુને બચાવવા સારૂ વળી જમીનના પાંચ વર્ગ પાડ્યા હતા. વળી જમીનની જૂદી જૂદી જાતોનો વિવેકપૂર્વક નિર્ણય થવા સારૂ બીજા નિયમો પણ કાળજીથી રચવામાં આવ્યા હતા અને તે બધાનો હેતુ ખેડુ અને રાજ્ય બન્નેને ઈન્સાફ થાય એવી રીત સ્થાપવાનો હતો.
ધીમે ધીમે જેમ જેમ રાજ્ય સુસ્થાપિત થતું ગયું તેમ તેમ સરકારને આપવાના દર નક્કી કરવાનું વધારે સારૂ ધોરણ દાખલ થતું ગયું. ગામડાંના મુખીઓ પાસે માપણી થઇ તે પહેલાંના છેલ્લાં ઓગણીસ વરસના દાણાના