પોતાનું સ્વાતંત્ર્ય સાચવી રહ્યું હતું. પશ્ચિમ હિંદુસ્તાન પણ થોડા વખત સૂધી પરદેશી વીરપુરુષોની આણ માનતું બંધ થયું હતું અને તેનાં જુદાં જુદાં સંસ્થાનો થઈ રહ્યાં હતાં.
આ પ્રમાણે અકબર ગાદીએ આવ્યો ત્યારે હિંદુસ્તાનના પશ્ચિમ ભાગ ઉપર એટલે ગુજરાતના રાજ્ય ઉપર રાજ્ય કરતો અફઘાન વંશનો મુસલમાન બાદશાહ સ્વતંત્ર હતો. હુમાયૂંએ એ રાજ્ય ઉપર પોતાની છત જણાવી હતી. પણ એ હિંદુસ્તાનમાંથી નાઠો ત્યારે તે પાછું સ્વતંત્ર થયું હતું, અને ત્યાર પછી એને છેડવામાં આવ્યું ન હતું. એના સીમાન્ત પડોશી માળવાના રાજ્ય સાથે પણ એણેજ લડાઈ ચલાવી હતી અને એમાં એને છેક નિષ્ફળતા મળી નહતી. એ માળવાના રાજ્યમાં પણ હાલના મધ્ય હિંદુસ્તાનના ઘણા ભાગનો સમાવેશ થતો હતો. અકબર ગાદીએ આવ્યો ત્યારે તે રાજ્ય પણ સ્વતંત્ર હતું. તેમ ખાનદેશ અને રજપૂતાનામાં રાજ્યો પણ સ્વતંત્રજ હતાં. આ રજપૂતાનાના રાજ્યોની કંઈક સવિસ્તર નોંધ લેવી યોગ્ય લાગે છે.
પ્રસંગવશાત્ રાણાસંગનાં પરાક્રમોનું પૂર્વના એક પ્રકરણમાં કંઈક સૂચન થઈ ગયું છે. બાબરે મેવાડને હંફાવ્યાથી એ દેશના બળ ઉપર ઘણી અસર થઇ હતી. અને જ્યારે શેરશાહે હુમાયૂંને હિંદુસ્તાનમાંથી કહાડી મૂક્યો ત્યારે તે દેશના રાજાઓને આખરે વિજેતાનું સામ્રાજ્ય કબુલ કરવાની ફરજ પાડવામાં આવી હતી. પણ શેરશાહના મરણ પછી જે ખટપટો ચાલી તે દરમિયાન તે સહુ સ્વતંત્ર થયાં હતાં અને અકબર ગાદીએ આવ્યો તે વખત રજપૂતાનાના રાજ્યોએ પોતાના ઊંચો મરતબો સાચવી રાખ્યો હતો. બીજા રાજ્યોના સંબંધમાં ટુંકામાં આટલું કહેવું બસ છે કે જેપૂરના રાજ્યે બાબરના વખતમાંજ મુગલ બાદશાહને નમતી આપી હતી. તે વખતના રાજા બહારમાએ આ બાદશાહોને લશ્કરની મદદ આપી હતી અને શેરશાહના હરાવ્યા પહેલાં હુમાયૂંએ એને ‘અમ્બરના રાજા’ એવો ઊંચો બાદશાહી ઈલ્કાબ બક્ષ્યો હતો. અકબરે પાણીપતની લડાઈમાં વિજય કર્યો ત્યારે બહારમાનો દીકરા ભગવાનદાસ ગાદીએ હતો. તે વખતમાં જેપુરના કરતાં જોધપુરનો મરતબો ઘણો ભારે હતો. ત્યાંના રાજા બલદેવસિંહે