સંદેશે જ્યારે ખાનદેશના રાજાને મળ્યો ત્યારે તે ઘણો જ ખુશી થયો અને ખુદાવંદ અકબર બાદશાહ પાસે યોગ્ય રસાલો અને સરસામાન લઈને પોતાની એક પુત્રી મેલી અને આમ કરવા દેવામાં તેના ઉપર બહુ કૃપા થઈ એમ એ સમજવા લાગ્યો. થોડાક દિવસ માંડુ રહ્યા પછી અકબર ઉજ્જૈન, સારંગપુર, સીપ્રી, નરવાર અને ગ્વાલીયરને રસ્તે આગ્રે ગયો. વળતા શીયાળામાં તેણે ઘણી વખત ગ્વાલીયરના મુલકમાં શીકાર કરવામાં ગાળ્યો. પશ્ચિમથી હિંદુસ્તાનમાં આવેલા કોઈ પણ એક મુસાફર નહિ હોય કે જેણે રાતા પત્થરનો બાંધેલો–આગ્રાનો કિલ્લો સાનંદાશ્ચર્યથી જોયો નહિ હોય. અકબર ગાદીએ આવ્યો ત્યારે ત્યાં આગળ દેખાવમાં કદ્રુપો અને ખવાઈ જઈને ખંડેર જેવો દેખાતો એક ઈટોનો કિલ્લો હતો. કેટલાક વખત થયાં એક મોટા રાજ્યના બાદશાહને યોગ્ય એક કિલ્લો આના ખંડેર ઉપર બાંધવાનો અકબરે ઠરાવ કર્યો હતો, અને ૧૫૬૫ ની વસંત ઋતુના અંતમાં એની ઘટના કરી અને જરૂરના હુકમો આપ્યા. એ કામ એક કાસીમખાં નામના વજનદાર અધિકારી–જેને અકબરે ત્રણ હજારનો સરદાર નીમ્યા હતો તેની દેખરેખ નીચે ચાલ્યું. આઠ વર્ષની અવિચ્છિન્ન મજુરી એ કીલ્લો બાંધવામાં લાગી અને ખરચ પાંત્રીસ લાખ રૂપીયા થયું. ઉપર કહ્યું તેમ તે રાતા પત્થરનો બાંધેલો છે. પત્થરો એક બીજાની સાથે મજબુતાઈથી જોડેલા છે અને સોંસરી નીકળતી લોઢાની મેખોથી જડી લીધેલા છે. દરેક સ્થળે પાયો છેક પાણી સુધી પહોંચેલો છે.
આ વર્ષ પૂરૂં થતાં પહેલાં એક એવો બનાવ બન્યો કે જેથી અણચિંતવી આપત્તિને સમયે યોગ્ય ઠરાવ કરવાની અને ત્વરિત પ્રતિકારની યોજના કરવાની પોતાની પ્રકૃતિનો ઉપયોગ કરવાની અકબરને તક મળી. માંડુનો ઉઝ્બેક સૂબો જ્યારે અકબર તે શહેરની મુલાકાતે ગયો ત્યારે કેવી રીતે નાસીને સામે થયો હતો તે તથા અકબરે તેની પાછળ માણસો મોકલી તેને કેવી શિક્ષા કરી હતી તે પણ મેંં ઉપર વર્ણવ્યું છે. આ ફિતુર તરફ અકબરની વર્તણુક જો કે અયોગ્ય રીતે સખત ન હતી તોપણ દરબારમાં તથા લશ્કરમાં રહેતા ઉઝ્બેક ઉમરાવોના મનમાં એથી એવી છાપ પડી કે બાદશાહ