ચાલ્યો અને ત્યાંથી રાયબરેલી ગયો. ત્યાં હુલડખોરોએ કાલ્પી તરફ વધવાને સારૂ ગંગા નદી ઓળંગ્યાના સમાચાર મળ્યા. પુષ્કળ વરસાદ વરસવાથી આખા દેશમાં રેલ આવી હતી પણ અકબરે પોતાના કાર્યમાં સાવધ રહી પોતાના મુખ્ય લશ્કરને કરહા આગળ મોકલી દીધું. અને પોતે એક તરફ પરતાપગઢ અને બીજી તરફ અલાહાબાદની સમાન્તરે આવેલા માણીકપુર તરફ ચુનંદી ટુકડીઓ સાથે ઉપડ્યો. પછી લડાઈ થઈ તેમાં અથવા ત્યાર પછી આ હુમલાના મુખ્ય વિજેતાઓ માર્યા ગયા. રણક્ષેત્રમાંથી અકબર અલાહાબાદ તરફ ગયો. તે આ વખતે તેના જૂના નામ પ્રયાગથી ઓળખાતું હતું. પછી બનારસની અને જૌનપુરની મુલાકાત લઈ ત્યાં સઘળો બંદોબસ્ત કરી આગ્રે પાછો ફર્યો.
પૂર્વ પ્રદેશ હવે અભય છે એમ સમજી અકબરે રજપૂતાના તરફ લક્ષ ફેરવ્યું. પશ્ચિમ હિંદુસ્તાનના આ મોટા ભાગના રાજ્યોમાં સૌથી વધારે જૂનો રાજા મેવાડનો રાણો ઉદેસીંગ હતો. આ માણસના સ્વભાવમાં નિર્બળતાની સાથે બેહદ હઠીલાઈ ભળી હતી. એનો મુખ્ય કિલ્લો ચિતોડનો પ્રસિદ્ધ દુર્ગ હતો. જે કિલ્લો સને ૧૩૦૩ માં અલ્લાઉ–દીનને પગે પડ્યો હતો, તોપણ અભેદ્ય હોવાની પોતાની પ્રથમની આબરૂ એણે પાછી મેળવી હતી. બનાસ નદી ઉપર એક ઊંચી ચતુષ્કોણ ટેકરી ઉપર એ આવેલો છે. અને આ કિલ્લાની બહારની ભીંતનો ઘાટ ડુંગરીને ઘાટે ઘાટે અનુસર્યો છે. એક ખરા અને વફાદાર સરદારની સવારી નીચે આશરે સાતહજાર ઉત્તમ રજપૂત લડવૈયા એનું રક્ષણ કરતા હતા. એમાં ખોરાક અને પાણી પુષ્કળ હતાં અને બધી રીતે લાંબો ઘેરો ખમી શકે એવો તે કિલ્લો હતો.
અકબર પોતે તે કિલ્લા આગળજ રહ્યો અને રાણો વિજયની આશા છોડીને જંગલમાં નાસી ગયો હતો તેથી આસપાસના પ્રદેશમાં જીતો મેળવવાના ઇરાદાથી એક બીજું લશ્કર બહાર મોકલ્યું. પણ જે જોસથી તે ઘેરાનું કામ દબાવ્યે ગયો તેવીજ હિમ્મત અને હઠીલાઈથી રજપૂત લોકો રક્ષણને વળગી રહ્યા. અકબરને આવા હઠીલા લડવૈયા કદી મળ્યા નહતા. જેમ જેમ એમની હઠીલાઈ વધતી ગઈ તેમ તેમ આનું અભિમાન અને