જૌનપુર તરફ પાછો ફર્યો. ત્યાં તે મુલકની વધારે સારી વ્યવસ્થા થાય તેવી ગોઠવણ પાકી કરવા સારૂ પોતે તેત્રીસ દિવસ રોકાયો.
આ હેતુથી તેણે જૌનપુર, બનારસ, ચન્નર અને નજીકના બીજા મહાલો લાગલાજ બાદશાહી ત્રીજોરીના હવાલામાં સોંપ્યા અને કરમણસાની દક્ષિણે તાજા જીતેલા મુલકની જૂદી રાજ્યવ્યવસ્થા કરી.
આટલું કર્યા પછી તે આગ્રે જતાં રસ્તામાં કાનપુર પહોંચ્યો. ત્યાં એ ચાર દિવસ રહ્યો તેટલામાં બંગાળામાં રહેલા એનો સરદાર મોંઘીર, ભાગલપુર, ગારહી, અને બંગાળાનું જૂનું અને પ્રસિદ્ધ હિંદુ પાટનગર ગૌડ સર કરી આગળ વધવાની તૈયારી કરે છે એ સમાચાર સાંભળ્યા. અહીંયાં એટલું ઉમેરીએ કે તે સરદારે અકબરનો ઠરાવ ઉત્સાહથી અમલમાં મૂક્યો અને તે દાઉદની પાછળ દયાવિહીન થઈને પડ્યો. તેને બજહુરા આગળ હરાવ્યો અને આખરે કટક આગળ તેને શરણે આવવાની ફરજ પાડી. આ રાજવંશીની હત્યાની સાથે બંગાળાની જીતે પૂરી રીતે મેળવાઈ એમ ગણાય.
કાનપુર અગાડી આ શુભ સમાચાર સાંભળીને અકબર બહુ ખુશી થયો અને બંગાળાની સવારી હવે ખરી રીતે પૂરી થવા આવી છે એમ સમજી પોતે દિલ્હી તરફ ગયો. ત્યાં થોડા દિવસ શીકારમાં ગુજારીને ફરીથી પાછો અજમેરની મુસાફરીએ રસ્તામાં શીકાર કરતો કરતો ચાલ્યો. નારનુળ આગળ તેણે પંજાબ અને ગુજરાતના સૂબાઓની મુલાકાત લીધી અને સર્વત્ર લોકોના હૃદયમાં એના રાજ્યે મૂળ રોપવા માંડ્યાં છે એ જાણી પ્રસન્ન થયો. આ ઉમરાવની સાથે વાતચીત કર્યા પછી તે અજમેર ગયો. પેલા ફકીરની દરગાહનાં દર્શન કર્યા અને જોધપુરના જંગલમાં આવેલા એક નાના સરદારનો બળવો દાબી દેવરાવી પોતે પોતાના ફતેહપૂર સીક્રીના મનગમતા નિવાસ ઉપર પાછો ફર્યો. એની બધી મુસાફરીમાં એણે જોયું હતું કે તેના મુલકનો ઘણો ભાગ પડતર પડી રહ્યો છે. આ અનિષ્ટ હકીકતનું કારણ જમીનની જાત અથવા લોકોનું આળસ ન હતું. જમીન તો ઉમદા હતી. આ વિષયનો તાગ લઇને અકબર એવા નિશ્ચય ઉપર આવ્યો કે તેમાં વાંક વહિવટનો છે. કેમકે ગરીબ લોકોને જમીન ખેડવી બહુ ભારે પડે એવો