નારનારાયણ એક વર્તે, વંદનીય[૧] તે નર સદા;
દુસ્તર[૨] તારક[૩] નાવ હરિજન, નિઃકારણ માંહે મુદા[૪]. ૯
કહે અખો સુખે હોય, યોગક્ષેમ[૫] મહંતને;
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. ૧૦
કડવું ૪૦ મું - હરિગુરુસંતની સ્તુતિ
રાગ ધન્યાશ્રી
એ અખેગીતા જે નર ગાયજી, અણઆયાસે[૬] તે નરહરિ થાય઼જી;
સાંભળતાં મહાગહેન પલાયજી, એવો ગ્રંથનો છે મહિમાયજી. ૧
ગ્રંથનો મહિમાય મોટો, સાંભળતાં તે સદ્ય[૭] ફળે;
મનસા વાચા કર્મણાએ, જે સુરત્ય દઈને સાંભળે. ૧
રામતારક મંત્ર જે, તે અખેગીતાનો ભાવ;
જન્મ છેહલો હોય જેહને, તેહને મળે પ્રસ્તાવ[૮]. ૨
સંસારરૂપી મોહનિશાને[૯], નિવૃત્તાવા[૧૦] કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદા સદોદિત રાજ. ૩
એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયાનિરિક્ષણ દૃષ્ટિ;
જીવન્મુક્ત ને મહામુક્તના, ચેહેન[૧૧] ને વળી પુષ્ટિ. ૪
પદ દશ ને ચાલીસ કડવાં, છે પરમપદની વાટ;
સંસારસાગર ઉપરે, એ સેતુ[૧૨] બાંધ્યો ઘાટ. ૫