આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

યજ્ઞાર્થે કામ કરીને, કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એટલે મન, વચન, કાયાને ઈશ્વરમાં હોમી દઈ ને.’

પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવામાત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હૃદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગાદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી; અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વીફરે. તેથી કહ્યું, 'ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું' પણ ભક્તિ એ 'શીશતણું સાટું' છે. તેથી ગીતાકાર ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં વર્ણવ્યાં છે. એટલે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચરને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહંતા-મમતાથી મુક્ત છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ શોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફ્લાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે.

આ ભક્તિ આસક્ત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

એમાંથી આપણે જોઈએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો દઈને ઝેર લાવી શકાય તે અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહીં તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.

પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ ચઢવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળમાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.