પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દયા આવે છે
૧૧૯
 


ક્યાંય ધણીબણી મળ્યો ન’તો. ઈ તો મુંબીમાં ક્યાંક રઈ’તી.”

એને વધુ વાત કરતી અટકાવવા શિવરાજે કહ્યું : “હેઠાં બેસો, બાઈ, બોલો શું કહેવું છે ?”

“બીજું તો કશુંય નહીં, બાપા ! પણ આ મારી અંજુડી અગાઉ કેદીય રેઢિયાળ નો’તી, હો ! માણસો ખોટું આળ ચડાવે છે, હો ! આ તો કોણ જાણે કેમ કરતાં ભૂલ થઈ ગઈ ને કોને ખબર છે. એમાંય વધુ વાંક કોનો, મારી અંજુડીનો હશે કે આગલા જણનો ? તેય પણ અંજુડીને ઘરનો આશરો નો મળ્યો — કાળી રાતે એને ઘર બહાર કાઢી — ત્યારે જ મારી અંજુડી ક્યાંક ભેખડે ભરાઈ ગઈને, બાપા ! નીકર ઘરમાં મારી આગળ હતી ત્યાં લગણ મારી અંજુડીએ આંખ પણ ઊંચી કરી છે ? પણ તેદુની અધરાત, વરસતો મે, પવનના સુસવાટા, એના બાપને ચડેલો કાળ : બધુંય ભેળું થયું, ને મારી છોકરીનાં પગલાં શેરીમાં પાછાં વળ્યાં. ઈ પગના ધબકારા તો હું બળીને મસાણે રાખ થઈ ગયેલ મેંથી શે ભુલાશે, બાપા!

“અને અંજુડી પાછી આવી તયેય એના બાપે શા બોલ કાઢ્યા, ખબર છે, બાપુ? કહ્યું કે બહારનાં આણેલાં આંહીં જણવા બેઠી છો, તે લાજતી નથી ? કેટલાંક મોઢાંમાં અમે રોટલો મૂકશું ? દાણાની કોઠિયું ચાવી જાનારી વેજા આંહીં શીદ લઈ આવી છો ? — આવાં વેણ સાંભળનારી જુવાન દીકરીને કાળજે શી શી છરિયું ફરી ગઈ હશે, વિચારો તો ખરા, બાપા ! અને એવી ઝાળ્યુંની દાઝેલી એ પશુડી શું કરી બેઠી હશે, એનું એનેય થોડું ભાન રહ્યું હશે ! અંધારી રાતે ભેંકાર ગોઝારે કોઠે ગઈ હશે તયેં એનો આત્મો તો ખદખદી હાલ્યો હશે ને ! સવાર પડશે તો બાપ ગજબ ગુજારશે એવી ભે લાગી હશે, તયેં જ ને ! નીકર કાંઈ મા જેવી મા ઊઠીને… તમને તો શું કહું બાપા, સમજદાર છો. પણ જનેતાનું હૈયું તો જનેતા જ સમજે હો ! ને મારે માથે તો વીતી ગઈ છે. પણ મારી અંજુડીને મેં જીવતી રાખી, કારણ કે મારો બાપ નિરદયાળુ નો’તો.”

બાઈ બોલતી ગઈ, રડતી ગઈ, આંખનાં પાણી લૂછતી ગઈ, શિવરાજના પગમાં માથું નમાવતી ગઈ. શિવરાજ સ્તબ્ધ જ રહ્યો.

“અને ભગવાને જો ધ્રોપદીની ધા સાંભળી’તી તો મારી ધા શું નહીં સાંભળે ? અટાણે મારી અંજુડી ક્યાં હશે, શું કરતી હશે, ઈ વિચારે રાતે મારો જીવ ચડી જાય છે ને સા’બ, એટલે પછી આંખ એક મટકુંય મારતી નથી — સવારોસવાર જાગતી પડી હોઉં છું. કાગડા બોલે એટલે કામે લાગું છું. બીજું શું કરું, બાપા ?”

શિવરાજની લાગણીઓ એની ન્યાયાધીશ તરીકેની કર્તવ્યબુદ્ધિના પાળા તોડવા લાગી હતી. એણે મોં પર કરડાઈ ધારણ કરીને બાઈને કહ્યું : “તમારે આંહીં આવવું જોઈતું નહોતું. મેં પણ તમને બોલ-બોલ કરવા દીધાં એ ભૂલ થઈ છે. હું તો તમને મળત જ નહીં, પણ આ તો હું મળ્યો, કારણ કે તમારી દીકરીનું કામ મારે નથી ચલાવવાનું.”

“હેં ? — તમે નહીં ચલાવો, બાપા ?” બાઈ તો બાઘી બની ગઈ. “તમે દયાળુ મારી અંજુડીનો કેસ નથી ચલાવવાના એમ કેમ કહો છો ? હેં !”

“હું બરાબર કહું છું. થાણદારસાહેબ ચલાવશે ને પછી રાજકોટ મોકલવી હશે તો મોકલશે.”

“અરે ભગવાન ! અરે રામ !” બાઈ ભાંગી પડીને ભોંય પર બેસી ગઈ : “મેં આઠ પો’ર ઈશ્વરને વીનવ્યો, કે ભગવાન, ભલો થઈને છોટાસા’બને રાજકોટથી પાછા વાળજે.