આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ટકાવવા, પોતાની ગુલામી ફેડવા, આપવા પડે છે તેનું એક સુંદર દ્રષ્ટાંત કોરીયા પુરૂં પાડશે. વિલાસનું ઝેર, અને દેખાતી એ સગવડોની માયા આજે જે હિંદી જનતાને વિવશ બનાવી રહેલ છે તે જનતા જૂઓ કે, માત્ર સ્વમાનની ખાતર કેટલા કોરીઅનોએ પોતાના બંગલા વાડી વજીફા અને વૈભવનાં સાધનો છોડી, મંચુરીઆની જીવલેણ ઠંડીની બરદાસ કરી, પોતાના ગુલાબની કળી સમાં પુત્ર પુત્રીઓને સોના રૂપાના હીંડોળામાંથી ઉંચકી માત્ર સ્નેહભરી છાતીના એક આશ્રય નીચે, કેટલી હોંશપૂર્વક, મંચૂરીઆ તરફ સાથે લીધાં ! કોરીઆની કથા તે મદોન્મત્ત સત્તાધીશોના જૂલ્મની, અને સ્વાભિમાની પ્રજાના ઉન્નત ગૌરવની કથા છે. તે જાલીમોના અત્યાચારની અને નિર્દોષોની અહિંસાવૃત્તિની કથા છે. હિંદુસ્થાનના ઢીલા પોચા, ડગલે ડગલે ઢચુપચુ થતા, અમારા દેશબંધુઓને મન, આ કથા એ ગીતા બનો–પ્રતિ પ્રભાતનું સંભારણું બનો; તેમના જીવનનો, તેમના આત્મભોગોનો આદર્શ બનો.

સુધારાના ઝેરથી કોરીઅનો ન મોહાયા. હંગેરીઅનો પણ ન્હોતા મોહાયા. આયર્લેંડે પણ એનો ત્યાગજ કરેલો. આયર્લેંડે પોતાની સ્વતંત્ર સરકાર નિરાળી સ્થાપેલી. કોરીયાએ પણ સ્થાપી દીધી છે. હંગરીએ વીયેના તરફ પીઠજ ફેરવેલી. આપણા ભારતવર્ષે પોતાનો માર્ગ નક્કી કરવા અર્થે આ બધી વાતો વિચારવાની રહી.