આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દિવસ પણ ન પાળ્યો, અને જાપાની રીત પ્રમાણે એનું દફન કરવાનું ઠરાવ્યું.

પ્રજા પૂછે છે, “અરેરે !એનું મડદું પણ અમને નહિ સોંપો ?”

જાપાની સત્તા કહે છે, “નગરના ગઢની બહાર કાઢ્યા પછી એ મુડદું તમને સોંપાશે.”

જીવતા જીવનું અપમાન ઓછું સાલે, પણ મુડદાનું અપમાન કોઈ પ્રજા નથી સાંખી શકતી. મૃત્યુની પવિત્રતા, ને ભવ્યતા કયા માનવીને અંતરે વસેલી નથી હોતી ?

કોરીયાવાસીઓના દિલ પર બહુ આઘાત થયો. પ્રજાએ વિચાર્યું કે દફનને દિવસે કાંઈક નવાજૂની તો કરવી જોઈએ. એક સમુદાય બોલ્યો કે “હવે તો હદ થઈ. આવો, જાપાનના એકે એક આદમીને રેંસી નાખીએ. દેશમાં અક્કેક જાપાનીનો જીવ લેવા સાઠ સાઠ દેશજનો જીવતા છે. એક વાર કતલ કરી નાખીએ. પછી ચાહે તે થાજો !”

પણ બીજો ડાહ્યો ને દયાવંત વર્ગ બોલ્યો, “આવી કતલથી તમે જગબત્રીશીએ ચડશો. જાપાન વધુ દારૂગોળો, ને વધુ નવા જુલ્મો લાવવાનું વ્યાજબી ઠરાવશે. આપણને જેર કરી નાખશે. આપણી આગળ હથિયાર કયાં ?”

૫૩