આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

છે, તે કોઈથી જોઈ ખમાતો નથી. તા. ૧૯ ડીસંબરની રાત્રીએ હરિલાલ અચરતલાલ, નારણ દેવશંકર, મગન જસભાઈ, અંબાલાલ લક્ષ્મીલાલ, વગેરેએ વેશ્યા પેલા લુચ્ચાના ઘરમાં રાતે સુવા ગઈ ત્યારે તાળું માર્યું. પછી રાંડના ભાઈને ઉઠાડી પુછ્યું કે રાંડ ક્યાં છે ? તેણે કહ્યું કે ખબર નથી. આ સાબીતી રૂપે એમ ગણાઈ કે સવાર પડતાં રાંડ અંદરથી નીકળી તે ઘણાકે દીઠી. આવું રોજ બને છે, રાંડનાં માબાપની પરવાનગીથી બને છે, પણ આ તો નાતવાળાએ ખાત્રી કરી લીધી, કહે છે કે હવે નાત ભેગી કરી તેઓ એ રાંડ તથા એના નવા ધણીને નાત બહાર મૂકનાર છે.

મારી આવકની બાબતમાં વડોદરાનું કામ છ માસનું હતું તે પુરૂં થતાં બીજું પાંચ માસનું મળ્યું છે, તેનો પણ પગાર તે જ પ્રમાણે પડે એમ છે - સિવાય એમ પણ વ્યવસ્થા મણિભાઈ સાહેબે કરી છે કે ઘણું કરી એક બે માસમાં હવે ૩OO)ના પગારથી કાયમ નોકરી પણ થઈ જશે. કચ્છ તરફથી રા. મનઃસુખરામ, જેના પ્રતાપથી જ વડોદરાનું પણ થયું છે, તેણે એમ કહાવ્યું છે કે દર માસે રૂ. ૧૦૦) ઘેર બેઠાં આપે, તે ત્રણ વર્ષ સુધી આપે – તેમને કાંઈ ગ્રંથ દર વર્ષે લખી આપવો – એ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ લોજીક લખવા સાંપ્યું છે તે થયેથી તેમાંથી રૂ. ૩૦૦) મળશે તથા વડોદરા કન્યાશાળા સીરીઝમાંથી પણ તેટલા મળવાનો સંભવ છે. એ સીરીઝ બાબત હરગોવનદાસને તથા મારે મતભેદ થવાથી મેં મારું લખાણ પાછું ખેંચી લઈ, આપવાની ના પાડી છે. પણ હવે પાછા તેઓ તેમ મણિભાઈ સાહેબ બહુ આગ્રહથી માગે છે. જોઈએ શું થાય છે.

માતર તાલુકે વાસણામાં સીહોરવાળાની જમીન હતી તે ૨૬૦ વીઘા જમીન મેં, સાંકળાભાઈ મગનલાલ તથા લલુભાઈ ઝવેરભાઈ ત્રણ ભાગે સરખે ભાગે રાખી છે. તેની પણ જે આવક થાય તે ખરી. દસ્તાવેજ વગેરે મારી પાસે છે – મુંબઈમાં એક એજન્સીની દુકાન મારા કોઈ મિત્રની ચાલે છે તેમાં મારે અને સાંકળાભાઈને ભાગ કરવાનો વિચાર ચાલે છે. ઉન સુતર રેશમ વગરને પાકા રંગ કરવાનું એક કારખાનું ચતુરભાઈ તથા હું તથા સાંકળાભાઈ ત્રણ થઈ કાઢવાનું ગોઠવીએ છીએ.

સંધ્યા પૂજાદિ તથા બાલાનો જપ એ ને રાજયોગનો જે અભ્યાસ છે તે ચાલે છે. પણ તે ઉપરાંત પાછા સપ્તશતીના પાઠ આરંભ્યા છે ને તેમાં કાંઈ અપૂર્વ ચમત્કાર છે એવું મને નિશ્ચય થતું ચાલે છે. જે દિવસે આરંભ કર્યો તેને બીજે જ દિવસ કચ્છની ગોઠવણ થઈ; અને વડોદરાનું પણ પાંચ