આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

સ્ત્રીને અન્યોન્યને મળવાનો એવો છંદ પડ્યો કે હું ઘણુંખરૂં દરરોજ ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી તેને ઘેર જ પડી રહેતો – પણ વાતચીત વિના બીજું કાંઈ થતું નહિ. મારી આ અરસામાં ઘણામાં ઘણી નિંદા થઈ છે; પણ મને તો એમ જ ભાસવા માંડ્યું હતું કે જે પ્રેમસ્થાનની અર્થાત્ જેની મારા પર એકનિષ્ઠ ભક્તિ હોય એવા જીવની શોધમાં હું હતો તે જ આ રૂપાળી પુતળી–મારા વિના ધૂળ નાખીને ખાનારી, મને જોઈ આનંદમાં મઝા કરાવનારી, મારૂં નામ સાંભળીને પણ એ નામ દેવાવાળાને બે ઘડી ખોટી કરનારી, મીઠા મીઠા શબ્દોથી વાત કરનારી, ભણેલી ગણેલી, વારંવાર પ્રેમવિનોદમાં આંખમાં આંસુ સાથે "મને નિત્ય આમ સંભારશો" એમ દીન વદને પુછનારી–માં મને મળી આવ્યું છે!! વિષયવાસનાની મને બિલકુલ પરવા ન હતી. મૂળથી મારામાં તે ઈચ્છા ઘણી નથી, પણ મારૂં મન જે વાતે હમેશાં બળતું તે વાત આવા કોઈ પ્રેમસંબંધની હતી; એવા સંબંધમાં વિષય થાઓ કે ન થાઓ એ કાંઈ વજન મુકવા યોગ્ય વાત નથી. આમ હોવાથી મેં તો લોકની, મિત્રોની, દુનીયાંની તમામની લાજ તજી ત્રણેક માસ પર્યંત આ મૂર્તિનું મોં જોઈને બેસી રહેવામાં જ વખત ગાળ્યો. મારે જવાનું પાસે છે તે જાણી કલ્પાંત કરતી આ સ્ત્રીને હવે ક્યારે મલાશે એવી ઇચ્છાથી ધીમે ધીમે મને પોતાનું અંગ અર્પવા માંડ્યું, પણ તેમાં એ ફક્ત બાહ્યોપચાર સિવાય કાંઈ થતું નહિ. મને સ્વાભાવિક પ્રશ્ન ઉઠ્યો કે આવા અનન્ય પ્રેમભાવમાં આવી હદ બાંધવાનું કારણ શું? આ ઉપરથી મેં તેને આખર સંબંધ માટે આગ્રહ કરવા માંડ્યો ને તેણે ના કહી ખેંચવા માંડ્યું, બલ્કે તેવા પ્રયત્નો થાય તો પણ ક્રોધ કરવા માંડ્યો. મેં એ વાત તો માંડી વાળી કેમ કે મારે તેમાં કાંઈ મુખ્ય આનંદ ન હતો, પણ મારા મનમાં એમ ખટકો પડ્યો કે આ સ્ત્રી મારા પર જેવો ભાવ બતાવે છે તેવો ખરેખર માનતી નહિ હોય. આવો વહેમ પડતાના પ્રસંગમાં વળી મેં બે બીજા ગૃહસ્થોને તેને ઘેર આવતા અને મારા જેવા જ કાંઈ સંબંધમાં મઝા કરતા જોયા. તેમાંના એકને તો છેક મને હતા તેટલે સુધી બલકે વધારે હક હશે એમ મને જોતાં વિચારતાં નિર્ણય થવા માંડ્યો. આ ઉપરથી મને એ સ્ત્રી પર તિરસ્કાર આવવા માંડ્યો કે તેં મને છેતરી, આવા સંબંધ તો ઘેર ઘેર બાંધ્યા જણાય છે! અરે ! હું ઠગાયો ! હવે પાછો તો સહજ ફરૂં. પણ ગયેલી આબરૂ વગેરે પાછી ક્યાં મળે? તેમ આટલા કાળ અનુભવેલો આવો પ્રેમાનંદ – ના ના વિષયાનંદ જ તે પણ કેમ વિસરે. એ બાઈને ઠપકો દઈશ એમ નિર્ણય કરી "શા રસ પર ગુલતાન" એ