આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨
બાલવિલાસ.

કર્મ સંપૂર્ણ થઈ જાય ત્યારે શરીરરૂપી ગાડી અટકે, એટલે મરણ થાય. પણ તે સમયે જો વાસનાનો ને તેના ઠામનો નાશ થયેલ ન હોય તો જે ગતિ ચાલતી હતી તેમાંથી નવી વાસના પેદા થઈ, જે વાસનાઓ વધેલી હોય તેમાં ભળે, ને પાછી શરીરરૂપી ગાડી ફરી દોડવા માંડે. આનું નામ પુનર્જન્મ. જેની ગાડી એવી અટકે કે ફરી ચાલેજ નહિ તેનો મોક્ષ થાય. આ ઉદાહરણમાં ત્રણ વાત છે. ગાડીને મળેલો ધકકો અને તેણે કરેલી ગતિ પૂરી થાય ત્યાં સુધીની એક વાત; તે ગતિ ચાલતાં તેને લીધે જે નવો ધક્કો ફરી મળવા જેવી વરાળ પેદા થાય તે બીજી વાત, ને તે નવી વરાળ, પહેલો ધક્કો મળે તે કરતાં વધેલી વરાળમાં મળે ને ફરી ધક્કો આપે એ ત્રીજી વાત; આ ત્રણ વાતના જેવાજ કર્મના પણ ત્રણ વિભાગ છે. જેનાથી આ જન્મ થયો અને મરણ સુધીનો નિયમ ઘડાયો તેને પ્રાબધ્ય કહે છે; એ પ્રારબ્ધ ભોગવાતું હોય તેવામાં જે નવી વાસનાઓ પાછલી વાસનાઓમાં ઉમેરાયાં જાય તે ક્રિયમાણ; ને જેમાંથી પ્રારબ્ધ પેદા થયું તે કર્મનો મહોટો ભાગ જેમાં ક્રિયામાણની વાસનાથી થવાનાં કર્મ પણ ઉમેરાય છે, તે સંચિત, કર્મના આવા ત્રણ વિભાગ છે. સંચિત તે અનાદિ છે, પ્રારબ્ધ તે જન્મ પામતાથી તે મરતા સુધીમાં ભોગવવાના સંચિતના ભાગનું નામ છે, ને ક્રિયમાણ એ એ પ્રાબધ્ય ભોગવતાં પેદા કરેલી વાસનાથી સંચિતમાં ઉમેરવાના કર્મનું નામ છે. એ ત્રણ પ્રકારનાં કર્મનું મૂલ વાસના છે, ને જ્યારે વાસનાનો ભંગ થાય ત્યારેજ કર્મ છુટે છે. જયારે વાસના ભાગે ત્યારે મોક્ષ થાય છે, પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે, એ વાત ઉપર કહેલા ઇન્જનના દષ્ટાંતથી સહજ સમજાશે.

જ્યારે કર્મનો આ સજજડ નિયમ છે ત્યારે એ પણ નક્કી જ થયું કે જેવું કરવું તેવુંજ પમાશે. પાંચ પચાસ વાર ખોટું કરીને એથી દશગણું સારું કરીએ, અથવા વ્યવહારમાં પાપ કરીને દેવને દીવો કરી ક્ષમા માગીએ, અથવા દાન દક્ષિણથી લોકને રાજી કરીએ, તો તેમ કરવાથી ખોટું કામ કે પાપ રદ થઈ શકતું નથી. જે કામ થયું તેનું ફળ મળવાનુંજ, સારાનું સારું ને નઠારાનું નઠારું, પછી તે આજ મળો, કાલ મળો, સો વર્ષે મળો , કે ગમે ત્યારે મળો. એમાં જમે ઉધાર કરી બાકી નીકળવાની નથી, પણ જે જેવું હોય તેવું જ જમે કે ઉધાર પૂરું કરી આપવાનું છે, માટે સર્વદા સારાંજ આચરણ રાખવાનો પ્રયત્ન કરવાની કાળજી રાખવી, અને એક વિચાર પણ ખોટો પેદા થાય નહિ એ માટે બહુ