આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
બાલવિલાસ.

પામી શકે છે. મનનો નિશ્ચય એજ શરીરને પણ ચલાવવાને સમર્થ છે, પણ સંયમથી એટલું જ કરવાનું છે કે મનના અંકુશમાંથી શરીરને કદાપિ ખસવા દેવું નહિ. ઘણાંક એમ સમજે છે કે શરીરના નિર્દોષ ઉપભોગથી સંયમમાં ભંગ થતો નથી, પણ શરીરને ઉપયોગ વિનાના લાલનપાલનથી આળસની ને અયોગ્ય નરમાશની ટેવ પડે છે, ને તેથી તે મનના તાબામાંથી પણ નીકળી જવાનું ધીમેધીમે શીખે છે, માટે નાની મહોટી સર્વ વાતમાં શરીરને પણ યોગ્ય રીતે અંકુશમાં રાખતાં શીખવું. શરીરની જુદી જુદી ઇન્દ્રિયો ઘણીક વાર પોતાપોતાના વિષયમાં એવી બહેકી જાય છે કે પરિણામે બહુ દુ:ખ અને અપયશ વહોરી લાવે છે. નેત્ર, શ્રવણ, આદિ ઈન્દ્રિયોને જે સ્વાદ પડે છે તેથી તે લોભાઇને ગમે તેવે માર્ગ ચઢી જાય છે, પણ એવા અસંયત આચરણથી વિનાશ જ નીપજે છે.

સંયમ ભાગ-૨
૨૦

શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે એક એક ઈન્દ્રિયને બહુ બહેકાવ્યાથી વિનાશ થાય છે, જેમકે શ્રવણના સ્વાદથી મૃગને, ઘ્રાણના સ્વાદથી ભ્રમરનો, જીવ્હાના રવાદથી મીનનો ઈત્યાદિ, તે પાંચે ઈનિદ્રયોથી વિષયમાત્રને ભોગવનાર મનુષ્ય, તેમને બહેકવા દે તો તેનો નાશ ક્ષણમાં જ થાય એમાં આશ્ચર્ય શું ? માટે નિરંતર શરીર તથા ઈન્દ્રિયો મનના કબજામાં રાખવી, ને સંયમવાળા મનથી જ તેમને દોરાવાની ટેવ પાડવી.

સર્વ ઇન્દ્રિયો કરતા જીભને ઘણાંક છૂટી રાખે છે કે તેથી જે અનર્થ થયા છે તે બીજા બધાના કરતાં અતુલ છે. લોક એમ જાણે છે કે વાણીમાત્રમાં શી હાનિ છે? બે ઘડી વાણીવિનોદ કરવામાં શું જાય છે ? વાણીવિનોદને કોઈ ના કહેતું નથી, પણ સર્વત્ર એટલી વાત બહુજ જાળવવાની છે કે જેમ આપણા આચારથી તેમ આપણી વાણીથી કોઈને કાંઈ હાનિ થવી જોઈએ નહિ. કોઈનું મન પણ દુભાય એમ થવું જોઈએ નહિ. પાંચ સાત સ્ત્રી કે પુરૂષ ભેગાં મળે અને તેમાંના કોઇ એકની મશ્કરી કરીનેજ મઝા માને એ રીતિ ઘણી ધિક્કારવાજોગ છે. ટપાટપી કરવી કે કોઈ સમય વાણીમાત્રથી તકરારે કે વાદે ચઢવું એ પણ એટલુંજ હાનિકારક છે. તરવારના ઘા રૂઝાય છે, પણ વાણીના ઘા રુઝાતાં નથી, ને એક વાણીમાત્રથી