આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
બાલવિલાસ.

સાવિત્રીએ પતિને જીવાડયો તે રાત્રી જ્યેષ્ટ શુકલ ૧૪ ની હતી, ને સાવિત્રી પોતે રાત્રીનું વ્રત પ્રતિવર્ષ કરતી હતી, તે ઉપરથી આજે પણ સ્ત્રીઓ પતિનું આયુષ વધારવા માટે તે રાત્રીએ વટસાવિત્રનું વ્રત કરે છે, પણ નિરંતર સતીધર્મ પળાય એ જ ખરું વ્રત છે, ગમે તેટલી ચૌદશો લાંધવાથી કાંઈ થતું નથી.


સન્નારી સતીઓ
૨૮

પતિને અનન્ય ભાવે મન કર્મ વાણીથી ભજનારી સ્ત્રીઓ સતીઓ કહેવાય છે; ને તેવી આપણ આર્યવર્તમાં પ્રાચીન સમયમાં અનેક થઈ ગઈ છે. સતીના સામર્થ્યનો મહિમા બહુજ મહોટો મનાય છે, ને એટલું તો પ્રત્યક્ષ પણ સિદ્ધ છે કે જે સતી છે તે સર્વ રીતે સુખી થાય છે; માન પ્રતિષ્ઠા વિશ્વાસ ને સર્વને સ્નેહ પામે છે. અતિ બુદ્ધિમાન અને વીર્યવાન પુત્ર પુત્રીની માત થાય છે. પ્રાચીન સમયમાં સતીધર્મ એટલે સુધી પળાતો હતો કે તેમાં જે અતિ ઉત્તમ પ્રેમભાવ સમાયેલો છે તે પ્રેમની પરાકાષ્ટાએ પહોંચી પતિના દેહ પડવાની સાથે સતીઓ પણ પોતાના દેહ ધારણ કરી શકતી નહિ. પ્રેમનો મહિમાજ એવો છે કે પોતાના પ્રેમસ્થાનનાથી જીવતાં કે મરતાં કોઈ કાલે પણ તે જુદો રહી શકતો નથી. પ્રખ્યાત કવિ જયદેવની પત્નીની પરીક્ષા કરવા માટે કોઈએ અનેક રીતે બતાવ્યું કે તારો પતિ મરી ગયો, તો તે વાતનો નિશ્ચય થતાં જ તેના પ્રાણ ગયા; અને જયદેવે આવી, અતિ કલ્પાંત કરતાં જ્યારે “ ગીત ગોવિંદ”ની રચનાથી હરિની સ્તુતિ કરી ત્યારે તે પતિવ્રતા જીવતી થઈ. આવી કથા ચાલે છે, તે પ્રેમ મહિમા, ને સતીમહિમા માટે સંપૂર્ણ છે.

દક્ષ પ્રજાપતિની પુત્રી સતી એવે નામે હતી, તે શિવને પરણાવી હતી. દક્ષને ઘેર એક સમય મહાયજ્ઞ થતો હતો; પણ તેમાં શીવને આમત્રણ હતું નહિ, એ વાત સતીએ, અનેક દેવતાને શણગાર સજી જતાં જોયા તેથી, શિવને આગ્રહ કરી પૂછવાથી જાણી, સતીને અતિ ક્રોધ થયો કે મારા પતિનો તિરસ્કાર કરનાર પિતા મારે કશા કામનો નથી, તેથી તે અણતેડયાં પણ દક્ષ યજ્ઞમાં ગયાં. અને ત્યાં પોતાના પ્રાણેશ્વરનો કાંઈ તિરસ્કાર થતો દેખી યજ્ઞકુંડમાં પડી બળી મુવાં. એ સમયે શિવે પોતાની