આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭
શાસ્ત્રાર્થ.

હતા, તે માર્ગમાં જતાં, ચાર રસ્તા હતા તે ઠેકાણે આવ્યા. સંશય પડે કે કીયે માર્ગે જવું, એટલે તરત શાસ્ત્રનાં પોથાં છોડીને વાંચવા માંડયાં તેમાંથી એવું વાક્ય નિકળ્યું કે “જે માર્ગેથી મહાજન જાય તેજ ખરો માર્ગ.” આ ઠેકાણે “માર્ગ” અને “મહાજન ” એ શબ્દનો અર્થ “ખરેખરો માર્ગ' અને “ઘણાં માણસ એમ તેમણે કર્યો અને એક મડદું લઇને ઘણા લોક જતા હતા તે માર્ગે ચાલવા મંડયા. સ્મશાનમાં પહોંચ્યા તો ત્યાં એક ગધેડો દીઠો કે પાછાં પાનાં પોથાં તપાસવા માંડયાં. તેમાંથી નીકળ્યું કે “દુઃખ સુખ સર્વ કાલે અને રાજદ્વારમાં તેમ સ્મશાનમાં જે સાથે હોય તે બંધુ જાણવો.” આ ઉપરથી પેલા ગધેડાને તે ભાઈ જાણીને ભેટવા લાગ્યા. આવી અનેક રીતે એ પંડિતોની હાંસિ કરેલી છે. આપણાં શાસ્ત્રાનો અર્થ કરવામાં પણ આ પંડિતોના જેવું ઘણી વાર થઈ જાય છે. શાસ્ત્રમાં જે કહ્યું હોય તેનો અક્ષરે અક્ષર અર્થ લેવો એનાથી એ ભુલ થાય છે. આવો વિચાર રાખવાનું ધોરણ આપણને વેદનો અર્થ કરનાર શાસ્ત્રોજ બતાવે છે. વેદનાં વચનને તો અક્ષરશઃ સત્ય માનવાં તથા પાળવા એ નિયમ છે. તથાપિ તેમાં પણ વિધિ, નિષેધ, અર્થવાદ, એવા ત્રણ પ્રકાર માન્યા છે. જે વચનમાં ' અમુક કરવું એવી આજ્ઞા છે તે વચન તેમનું તેમજ પળાય છે; તેમ જેમાં “અમુક ન કરવું" એવી આજ્ઞા છે તે પણ એમનું એમજ અનુસરાય છે એ બેનું નામ વિધિ અને નિષેધ, પણ ઘણાં વાક્ય, ઘણી કથાઓ એવી હોય છે કે જેનો અક્ષરે અક્ષર પાળવામાં આવતો નથી, માત્ર તેમનો સારજ ગ્રહણ થાય છે, અથવા કોઈ વાર તેમનો હેતુજ લક્ષમાં લેવાય છે. એવાં વચનોનો હેતુ માણસને રૂચિ ઉત્પન કરી શુભ માર્ગમાં વાળવાનો, કે કોઈ ગૂઢ વાર્તા સરલ રીતે સમજાવાનો હોય છે. વેદના કેટલાક ભાગ અર્થવાદ છે એટલુંજ નથી, પણ ઘણાંક પુરાણ અને તંત્ર આખાંને આખાં અર્થવાદ હોય છે. આટલા માટે શાસ્ત્રને નામે કહેવાતી વાતોનો નિશ્ચય કરવો કે તે વિધિ છે, નિષેધ છે કે અર્થવાદ છે, ને પછી તે પ્રમાણે આચાર કરવા વળવું. સાધારણ વ્યવહારમાં પણ એવો નિયમ છે કે જે કામ કરવું હોય તેનો અધિકાર, ફલ અને સ્વરૂપ, ત્રણેનો યથાર્થ નિશ્ચય સમજ્યા વિના કરવા માંડીએ તો તેમાંથી લાભ નથી થતો, કવચિત હાનિ પણ થાય છે. જ્યારે સાધારણ વ્યવહારનું આવું છે, ત્યારે અતિ ઉત્તમ ફલ આપનાર, અને શરીર મન અને આત્મા ત્રણેને સાચવવામાં ઉપયોગી એવા ધર્માચારમાં તો એ વાત કેટલી વધારે આવશ્યક હોય છે