બગડે છે. સ્ત્રીઓનો સવિશેષ ધર્મ પ્રેમ છે, ને તેમનું રાજ્ય ઘરમાં છે, એ વાત એટલી બધી સિદ્ધ છે કે એ કરતાં બીજા પ્રકારનો ધર્મ સ્ત્રીઓનામાં કેળવવાથી, કે ઘર કરતાં ઘર બહારના વ્યવહારમાં તેમને પ્રવેશ કરાવવાથી, તેમને તેમ જગતને હાનિ થાય એમ સિદ્ધ છે.
સ્ત્રીઓ જ્યારે પ્રેમધર્મ તજી બલ અને પરાક્રમથી સાધવાનો પુરુષધર્મ ગ્રહણ કરે ત્યારે એક તો તેમને પોતાનેજ હાનિ થાય. તેમનું શરીર સ્વાભાવિક રીતે ઘણું નાજુક અને નિર્મલ છે, તેમ તેમનાથી નિરંતર લાંબો અને વિકટ શ્રમ કરી શકાતો નથી, તો ધંધા રોજગારમાં તેમને જેની સાથે સ્પર્ધા કરવી પડે એવા પુરૂષો કરતાં તે કદાપિ સારી નીવડી શકે નહિ. આમ ધંધામાં શ્રમને લીધે જ તેઓ નિષ્ફલ થાય એટલું જ નથી, પણ તેમના માનસિક બંધારણથી પણ નિષ્ફલ થાય એમ છે. સ્ત્રીઓનો સ્વભાવ પ્રેમમય એટલે અતિશય લાગણીવાળો ને તેથી નરમ અથવા પોચો હોય છે તેમને હાથે ન્યાય કે ઇન્સાફનાં કામ બરાબર થવાની આશા રાખવી યોગ્ય નથી તેમ તેમનાથી કોઈ ભારે વ્યવસાયમાં પણ યથાર્ય તુલના કરી શકાય એ સંભવિત નથી. ધંધામાં સ્ત્રીઓ આમ નિષ્ફલ થાય તેમ ઘરમાં તેમનાં બાલક તેમના વિના સુકાઈ જાય, ને મરવા પડે. કદાપિ નબળા પુરૂષ ઘરધંધો સંભાળી શકે, પણ બાલકોને ધવરાવી કે સંભાળી તો ન જ શકે, એટલે ત્યાં પણ સ્ત્રીઓને બહાર કામે લગાડવાથી હાનિ થાય. સ્ત્રીઓને ને પુરૂષોને પોતાને પરસ્પર હાનિ થાય; તેમ આખા જગતને હાનિ થાય; કેમકે જે વાત જેનાથી સારામાં સારી થતી હોય તે વાતમાં જ તેને કામે લગાડવાથી લાભ છે, ને તે વિનાની બીજી વાતમાં તેને નાંખવું એ એકંદરે અલાભ છે. આ પ્રમાણે જોતાં સ્ત્રીઓ પુરૂષધર્મ ગ્રહણ કરે કે પુરૂષો સ્ત્રીધર્મ ગ્રહણ કરે એમાં બહુજ હાનિ છે; તેઓ પોતપોતાનાં યોગ્ય કામમાં રહી શોભે એમાં તેમને તેમ જગતને બહુ લાભ છે. જે વાત કુદરતે પોતે આ સૃષ્ટિના નિર્માણના સમયથી સ્પષ્ટ રીતે વિભાગ કરી ચોખી કરી આપી છે, તેને માણસો બદલવા માગે તો , જેમ બીજા કુદરતના નિયમ ફેરવવા જતાં દુઃખી થાય છે, તેમ દુઃખીજ થાય. મહોટામાં મહોટું દુઃખ તે સમયેજ પેદા થાય છે કે જે વખતે સ્ત્રીઓ પુરૂષધર્મ લેવા જાય છે કે પુરુષ સ્ત્રીધર્મ ગ્રહણ કરવા વળે છે.
ઘણાંક કહે છે કે સ્ત્રીઓ પણ મનુષ્ય છે, પુરૂષે પણ મનુષ્ય છે, તો તે બન્ને જેમ ફાવે તેમ કરે એમાં વિભાગની શી અપેક્ષા છે? પણ આ વાત આપણા હાથમાં નથી, એ વિભાગ કાંઇ આપણે કર્યો નથી. કુદરત-