આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : બંસરી
અત્યંત આભારની વૃત્તિ થઈ આવી. ફક્ત એક મિત્રની પત્ની ! શા માટે તેણે મારી આટલી કાળજી રાખવી જોઈએ ?
મેં કહ્યું : ‘તમે ન હોત તો મારી કોણ કાળજી રાખત ? આટલું બોલતાં મારી આંખમાં આંસુ આવ્યાં.'
વ્રજમંગળાએ પોતાના લૂગડાના છેડા વડે આંસુ લૂછ્યાં અને કહ્યું :
‘મને એ કહેતા ગયા હતા કે સુરેશભાઈની પહેલી કાળજી રાખવાની છે. એ ન હોય તોયે મારે તમને ખોળીને સંભાળવાના હતા, સમજ્યા ?’
પેલા ખાદીનાં વિચિત્ર કપડાંવાળા માણસનાં કપડાં ઉપર તાંબાનો એક કકડો મેં જોયો. તેના ઉપર કાંઈ અંક નાખેલો હતો. હું વિચારમાં પડ્યો. કાં તો દવાખાનામાં આવા પોશાક હોય !... અગર કેદખાનામાં !અંક નાખેલો તાંબાનો કકડો તો કેદખાનામાં જ હોઈ શકે ! શું હું કેદખાનામાં હતો ?