ગઈ ૠતુ વસંત, પ્રાવૃષ વળી જશે પરવરી
કિશોર વય ગૈ વહી, ભરી જુવાની ચાલી વળી,
બળવંતરાય
‘કુંજલતા ! કુંજલતા ! તું આ શું કરે છે?' મેં પૂછ્યું. મુખ ઢાંકી કુંજલતા જ મારી પાસે આવી હતી.
‘તમે શા માટે મને ઓળખી ?' તેણે કહ્યું.
'તને જ્યાં સુધી ઓળખું નહિ ત્યાં સુધી તારું કહેવું શી રીતે માનું ?’
‘ત્યારે હવે માનશો ? મારાં કપડાં પહેરી બહાર જતા રહેશો ?’
'તને કેદખાનામાં એકલી છોડું અને હું ચાલ્યો જાઉં એ મને શોભે. ખરું?'
'તમારે જીવન અને મૃત્યુનો સવાલ છે; હું તો ગમે તે જવાબ આપી છૂટી જઈશ.’
‘કુંજલતા ! બંસરીનું ખૂન મેં કર્યું નથી. છતાં આખી દુનિયાને મારા ઉપર શક છે. એટલે તારાં માબાપને પણ શક હોય જ. હવે તને હું અહીં છોડી જાઉં તો મને બધાં શું કહેશે ?'
‘બધાંને જે ફાવશે તે કહેશે. પણ તમે કૃપા કરી ચાલ્યા જાઓ. હું તમને પગે લાગું છું.' કુંજલતાના કંઠમાં અને આંખમાં અદ્દભુત આર્જવ હતું. આ રમતિયાળ અણસમજુ છોકરી શા માટે આમ કરતી હશે ? મેં નિશ્ચય કર્યો હતો કે હવે નાસવાનો કે બચવાનો કશો જ પ્રયત્ન કરવો નથી. પરંતુ માનવીની જિજ્ઞાસા કદી ઓછી થતી નથી. મેં કુંજલતાને કર્મયોગીના મકાનમાં તે રાત્રે જોઈ હતી. એટલે તેને મેં પૂછ્યું :
‘કુંજલતા ! તું કર્મયોગીને ઓળખે છે, ખરું ?’
‘હા, હા. પણ મને એ વિષે કશું જ પૂછશો નહિ.’ કુંજલતાને જાણે ભય લાગતો હોય તેમ કર્મયોગી વિષેની વાત ન પૂછવા તેણે જણાવ્યું.
'તને ભય લાગે છે, ખરું ?’
ચારે બાજુએ જાણે તે કોઈની હાજરી અનુભવતી હોય એમ આખા