આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 આપ જ્યાં સુધી આ હોદ્દા ઉપર છો, અને કાયદા પ્રમાણે ન્યાય આપવાને બંધાયેલા છો ત્યાં સુધી આ કામમાં મને સજા કરવી એ આપનો ધર્મ છે.

આપ જે કંઈ સજા ફરમાવશો તેને હું અત્યંત હર્ષથી અને પણ દુઃખ માન્યા સિવાય બરદાસ્ત કરીશ.”

ઉપર પ્રમાણે વર્તવામાં રવિશંકરભાઈએ ગેરકાયદે પ્રવેશ કરવાનો ગુનો શી રીતે કર્યો હશે તે સરકાર જાણે. સરકારી અમલદારને કામ કરતા રોકવાનો ગુનો સરકારની દૃષ્ટિએ જરૂર થતો હતો. પણ એ ગુનો તો રવિશંકરભાઈ જ નહિ, પણ બારડોલીમાં કામ કરનાર દરેક સ્વયંસેવક અને તેના સરદાર વલ્લભભાઈ રાતદિવસ કરી રહ્યા હતા. પણ શ્રી. રવિશંકરે પોતાનો પ્રતાપ સરકારની આંખ અંજાય એવી રીતે બતાવ્યાને લીધે કદાચ તેમને જેલ જવાનું પહેલું માન મળ્યું હશે. રવિશંકરભાઈને અમુક સજા અને દંડ, અને દંડ ન ભરે તો બીજી વધારે સજા એમ કરીને પ મહિના ૧૦ દિવસની સખત કેદની સજા થઈ. રવિશંકર જેવાને દંડ કરવો એ વધારે સજા કરવાનું બહાનું નહિ તો બીજું શું ?

લોકોએ તો આ સજાને રવિશંકરભાઈ જેટલી જ વધાવી લીધી. પણ અહિંસા જાળવવાની કાળજી રાખવાનો ડોળ કરનાર સરકારને ખબર નહોતી કે તેણે અહિંસા જાળવનાર એક સુંદર રખાને કેદ પૂર્યો. ગાંધીજીએ રવિશંકરને જે વધામણી મોકલી હતી તે આખા બારડોલી તાલુકાને માટે જ હતી :

તા. ૩૦-૪-૨૮
મૌનવાર
 

ભાઈશ્રી રવિશંકર,

તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢતડકો સરખાં, ચીથરાં મળે તો ઢંકાઓ, ને હવે જેલમાં જવાનું સદ્‌ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલાબદલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારો ને દેશનો જય હો.

બાપુના આશીર્વાદ
 

૧૧૪