આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫ મું
લોઢું અને હથોડો
 

 સરકારને વગોવવાના સાધન સિવાય બીજી રીતે વાપરવાને સરદાર લલચાય એમ નહોતું. સરદારે લોકોને હુકમ કાઢ્યા :

“ઢોલ વગાડવાં, શંખ વગાડવા બંધ કરો, તોપબંદૂકવાળી સરકાર આપણાં ઢોલશંખથી ડરી ગઈ છે. ઢોલ અને શંખને સત્યાગ્રહની સાથે સંબંધ નથી. લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાનો આપણો ધર્મ છે તે ધર્મ કદી ન છોડશો, પણ આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને ફસાવવા માગે તો આપણે નથી ફસાવું.”

સરદારને હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના તેમના મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેમને છોડાવવાની પેરવી કરી રાખી હતી – અથવા ઈશ્વરે તેમને તેમ કરવાને માટે પ્રેર્યા હતા એમ કહીએ તો ચાલે. કારણ હવે સરદારની બારડોલી તાલુકામાં ૨૪ કલાકની હાજરીની જરૂર રહે એવો સમો આવ્યો હતો. પરિણામે તાલુકાના દરેક ગામમાં ફરી વળવાનું તેમનાથી બની શક્યું, એટલું જ નહિ પણ આસપાસનાં ગાયકવાડી ગામોમાં પણ અવારનવાર તેમનાથી જવાનું બની શક્યું. આ ગાયકવાડી ગામો અને નવસારી કસ્બો આ લડતમાં રક્ષણના ગઢો બની રહ્યા હતા. ગામડાંમાં લોકશિક્ષણના રોજરોજ નવા પાઠ અપાઈ રહ્યા હતા. દરેક નવી સ્થિતિને પહોંચી વળવાને માટે સરદારની પાસે નવા ઉપાયો હોય, તેને હસી કાઢવાને માટે નવી ભાષા હોય, અને એકે સ્થિતિ સરદારને માટે નવી હોય જ નહિ એ જોઈને લોકો આશ્ચર્યચકિત થતા હતા અને બહાદુર બનતા જતા હતા. આફવામાં ૧૩ ભેંસો પકડાઈ છે એમ સાંભળીને સરદાર આફવા ગયા. ત્યાં ભેંસોને ખોવાને માટે તૈયાર રહેવાનું લોકોને સમજાવવા સરદાર પાસે દલીલ તૈયાર જ હતી :

“આ તો તદ્દન નજીવી વસ્તુ છે. ગુજરાતમાં જળપ્રલય થયો હતો ત્યારે સેંકડો ઢોર તણાઈ ગયાં હતાં. પોતાનાં જીવ જેવાં વહાલાં ઢોર નજર આગળ તણાઈ જતાં લોકોને જોઈ રહેવું પડેલું. માણસો પણ બાળબચ્ચાં સહિત ચારચાર ને પાંચપાંચ દિવસ ઝાડ ઉપર રહ્યાં હતાં. આની આગળ આપણો ભોગ તો કાંઈ જ નથી. જેમનાં ઢોર ગયાં હોય તે આજે હસતે ચહેરે બલિદાન આપો, સાકર વહેંચો. તેમણે કશું ખોયું નથી, મહા ધર્મલાભ કર્યો છે. ”

૧૧૭