આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭

વધારે તાવણી

“સરકારને બીજું કંઈ સૂઝતું ન હોવાથી તે અત્યારે હવાતિયાં મારી રહી છે. એ તમને ગૂંચવવા માગે છે. તમે જરા તોફાન કરશો કે તરત એ ચડી બેસશે.”

જી ત્રાસનીતિના તાપ તો વૈશાખજેઠની જેમ તપે છે. કાયદાને નામે બારડોલીમાં લૂંટ, ઢોરચોરી, ઘર ફોડવાનું ચાલી રહ્યું છે. માત્ર અન્યાયના નાટકથી હસવું આવે છે, કારણ જેલમાં જવાનું વધાવી લેનારને ખોટા પુરાવાથી ચીડ શા સારું થાય ? પણ આ પાપચિત્રો ચીડ ઉત્પન્ન કરે એવાં છે. દિવસના જપ્તી કરવાનું ન બને એટલે રાત્રે ધાડો પાડવી, લોકોની વાડો તોડવી અને પાછલે બારણેથી પેસવું, પાછલે બારણેથી પેસીને ઘરનાં પતરાં ઉખેડી ઘરમાં પેસી વાસણકૂસણ ઉઠાવવાં, એ કયું શાહુકારીનું કામ છે ? અને એ પણ કોનાં ? શેઠ વીરચંદ ચેનાજી જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ, જેમની હજારોની જમીન સરકારદફતરે દાખલ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, જેમની બે ઘોડીઓ જપ્ત કરવામાં આવી હતી તેમને ઘેર આ બધાં તોફાન કરવામાં આવ્યાં ! એક પારસી વીરને પોચા જાણી ખુવાર કર્યા, છતાં તેમને ન નમાવી શક્યા. હવે આ વણિક વીરને નમાવવાને માટે આ નામોશીભરેલાં કૃત્યો કરવા માંડ્યાં !

બધા કિસ્સાઓ નોંધવાનું આ સ્થળ નથી. લડત ચાલતી હતી તે વેળા બધાની વીગતો વર્ણવવાની આવશ્યકતા રહેતી હતી. ઇતિહાસમાં માત્ર થોડા નમૂનાને જ સ્થાન હોય.

૧૨૮