આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





ભક્ષણનીતિ

“૮૦ ટકા ખેડૂતવસ્તીવાળા આ દેશમાં ખેડૂત માટે જેવા રાક્ષસી કાયદા છે તેવા ધરતીના પડ ઉપર ક્યાંયે નહિ મળે.”

બારડોલી સત્યાગ્રહની ઉત્પત્તિના વર્ણન ઉપર આવીએ તે પહેલાં આ દેશમાં, અથવા આ પ્રાંતમાં, ચાલતી જમીનમહેસૂલનીતિ વિષે થોડી હકીકત આપવી જરૂરની છે. ‘સર્વે’ ક્યારથી અને કેમ શરૂ થઈ, મહેસૂલઆકારણી કેવી રીતે થવા માંડી એ બધી વસ્તુના ઇતિહાસમાં અહીં નહિ ઊતરી શકાય. આ ઇતિહાસ વાંચનારે જાણવાજોગી કેટલીક હકીકત આ પ્રકરણમાં રજૂ કરીશ.

જમીનમહેસૂલ એ ‘કર’ છે કે ‘ભાડું અથવા ગણોત’ છે એ સવાલ એકવાર બહુ ચર્ચાતો અને સરકારી અમલદારો પણ નિષ્પક્ષ રીતે તેને ચર્ચતા. લેફ્ટેનન્ટ કર્નલ બ્રિગ્ઝ નામના એક લેખકે જમીન મહેસૂલ ઉપર પ્રકાશ પાડનાર એક મહત્ત્વનો ગ્રંથ લખ્યો હતો તેમાં બતાવ્યું હતું કે સેંકડો વર્ષો થયાં જમીનનો માલિક એ જમીનનો ભોગવટો કરનાર ખેડૂત મનાતો આવ્યો છે, સરકાર માલિક નથી, પણ અંગ્રેજ સરકાર તો જમીનની માલિક થઈ બેઠી છે અને વધારેમાં વધારે મહેસૂલ ઉત્પન્ન કરવાનું સાધન એને માને માને છે. આ ગ્રંથ ૧૮૩૦ માં લખાયો હતો. ૧૮૫૩માં આમની સભાની એક કમિટી આગળ પુરાવો આપનાર એક

અંગ્રેજ અમલદારે કબૂલ કર્યું હતું કે જમીનમહેસૂલ ઠરાવવામાં