આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ મું
ગાજવીજ
 

 તાવણીમાંથી પસાર કર્યા વિના લડત બંધ કરવાની મને કશી ઉતાવળ નથી. અપમાનભરી સમાધાન કરતાં બહાદુરીભરી હાર બહેતર છે.

હવે આપ સમજશો કે મહાબલેશ્વર કે પૂના દોડી આવવાને હું કેમ ઉત્કંઠિત નથી. એટલે મારી હાજરી વિના ન જ ચાલે એમ આપને લાગતું હોય તે સિવાય મને બોલાવવાની તસ્દી ન લેશો.

લિ. સ્નેહાધીન,
વલ્લભભાઈ.
 

આ કાગળ સરકારને બતાવવામાં આવ્યો હતો કે નહિ તે આપણે નથી જાણતા, પણ આમ સમાધાનીના પ્રયત્ન જન્મતાં જન્મતાં જ મરણ પામ્યા. અને એ યોગ્ય હતું. સરકારમાં તે વેળા પાછું ફરીને ન જોનારા એવા મહારથીઓ પડ્યા હતા – રેવન્યુ મેમ્બર મિ. હૅચ, રેવન્યુ સેક્રેટરી મિ. સ્માઇથ, કમિશનર સ્માર્ટ અને સેટલમેંટ કમિશનર ઍંડર્સન. સરકારને એ લોકો સહેલાઈથી નમવા દે એમ નહોતું. એટલે હવે આ મહારથીઓ નવાં શસ્ત્રઅસ્ત્રો લઈને પાછા રણે ચડ્યા.

૩૧ મી મેને રોજ સરકારે ‘બારડોલી તાલુકા અને વાલોડ મહાલના ખાતેદારોને જાહેરનામું’ બહાર પાડ્યું. આ જાહેરનામામાં લોકોના અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, પણ આગ લગાડવાના કે હિંસા કરવાના ગુનાનું નામ નહોતું. પણ આમાં નવા ગુનાઓ હતાઃ ‘સરકારી ઉપાયોમાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ઘરોને તાળાં વાસી રાખવાં, પટેલો અને વેઠિયાઓનો બહિષ્કાર કરવાની અને નાતબહાર મૂકવાની ધમકી’ વગેરે ગુના જેમને પરિણામે જપ્તીનું કામ અકારથ નીવડ્યું હતું. એટલે પછી સરકાર શું કરે ? ‘અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસ અને જંગમ મિલકતની જપ્તી કરવી પડી, અને પઠાણની મદદ માગવી પડી. પણ તેમાં ખોટું શું ? પઠાણોનું વર્તન તો દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાત્રી છે.’ આ પછી ખેડૂતોને ફરી પાછી ચેતવણી આપવામાં આવે છે : ‘તેમની જમીન સરકારી ખરાબા તરીકે દફ્તરે ચડાવી દેવામાં આવશે. . . . અને આવી રીતે લઈ

૧૬૩