આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થના કરવાને આપણે ભેગા થયા છીએ.’

ખેડૂતોની સામાન્ય મનોદશા તે વેળા કેવી હતી તે કહેવું મુશ્કેલ છે. ખેડૂતને પેાતાનો ઇતિહાસ લખતાં આવડે તો તે લડતને જુદે જુદે અવસરે પોતાની બદલાતી મનોદશાનાં ચિત્રો આપે. પણ કેટલાક ખેડૂત તો સિરસાટાની લડતને માટે તૈયાર થઈ રહ્યા હતા એ સ્પષ્ટ છે. સરકારી જાહેરનામું બહાર પડ્યું એ જ અરસામાં, એટલે ‘બારડોલી દિન’ના થોડા જ દિવસ આગળ, હું એક ખેડૂતને મળ્યો હતો. એની સાથે વાત કરતાં ઉમંગ ચડે એવી એણે વાત કરી.

‘સરકારનું જાહેરનામું વાંચ્યું ?’

‘હા ! સરકાર હજી વધારે આકરાં પગલાં લેશે.’

‘ક્યાં સુધી આ લડત ચલાવશો ?’

‘ગમે ત્યાં સુધી. મારા ગામમાં તો પાકો બંદોબસ્ત છે. મારા ગામમાં એકે ભેંસ જ રહી નથી, શેની જપ્તી લાવશે ? અરે થોડા વખતમાં ઘર જ એવાં કરી મૂકશું કે તેમાં ઊભો વાંસ ફરે ! અમે તો લડત બરાબર જામી ત્યારથી અમારાં તાંબાપિત્તળનાં વાસણ પણ કાઢી નાંખ્યાં છે. અમે માટીનાં હાંલ્લાંમાં રાંધીએ છીએ, અને માટીનાં વાસણમાં જમીએ છીએ. લઈ જાય જોઈએ તો એ વાસણ. બહાર સાદડી ઉપર સૂઈ રહીએ છીએ; પલંગનો પણ નિકાલ કરી દીધો છે, કારણ પલંગ પણ ઉઠાવી જવા લાગ્યા છે. અને હવે અમે બીજો વિચાર કીધો છે. શા સારું ઘરમાં ભરાઈ રહેવું ? એક ધર્મશાળા રાખીશું, એક બિનખાતેદાર એનો કબજો લેશે, સૌ ત્યાં રાંધી ખાશું અને ફાળે પડતો ખર્ચ વહેંચી નાંખશું.’

‘પણ સરદાર તમને કહે કે ગામ છોડીને ચાલ્યા જાઓ તો ?’

‘તો તો સત્તર આના. અમારાં બૈરાંછોકરાં તો ગાયકવાડીમાં અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છે, ઢોર પણ ગયાં છે. ઘણાં તો માત્ર અહીં સૂવાને માટે જ આવીએ છીએ.’

૧૮૬