આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩ મું
આરોપી ન્યાયાધીશ બન્યા
 

 આના જવાબમાં સરકારનું પોત પ્રકાશ્યું. ગવર્નરે સાફ લખ્યું :

“તમે સૂચવો છો તેમ સરકાર પોતાનો રાજવહીવટ ચલાવવાનો નિર્વિવાદ અધિકાર કોઈ સ્વતંત્ર કમિટીને શા સારુ આપી દે ? દરેક રીતે હું પરિસ્થિતિને પહોંચી વળવા માટે આતુર છું, પણ કોઈ પણ સરકાર ખાનગી શખ્સોને પોતાની લગામ સોંપી દઈ ન જ શકે, અને એવું થવા દે તો એ સરકાર સરકારના નામને લાયક ન રહે.”

આ વિચિત્ર વિધાનના જવાબમાં ગાંધીજીએ ફરી એકવાર લોકપક્ષનું સત્ય સ્વરૂપ વ્યકત કરનારો લેખ લખ્યો, અને સરકારે આદરેલી ખોટી વૃત્તિને ઉઘાડી પાડી. આ રહ્યો તે લેખ:

“ગવર્નરસાહેબ કહે છે કે રાજ્ય અને પ્રજાની વચ્ચે સ્વતંત્ર તપાસ થાય જ નહિ. આમ કહીને તેઓ સાહેબ લેાકોની આંખમાં ધૂળ નાંખે છે. સ્વતંત્ર તપાસ પણ સરકારી તપાસ હશે. ન્યાયખાતું અમલી ખાતાથી સ્વતંત્ર હોય છતાં તે પણ સરકારી ખાતું છે. કમિટીની નિમણુક લોકો કરે એમ કોઈએ માગ્યું નથી. પણ તટસ્થ માણસો નિમાઈ જેમ અદાલતેામાં તપાસ ચાલે છે તેમ બારડોલીની મહેસૂલના કેસની તપાસ થાય એમ લોકોની માગણી છે. આમાં સરકારને રાજ્યની લગામ છોડી દેવાની વાત નથી, પણ જોહુકમી, નાદીરશાહી છોડી દેવાની વાત અવશ્ય છે. અને જો લોકોને સ્વરાજ્ય મળવું છે ને તેમણે તે મેળવવું છે તો આ નાદીરશાહીનો સર્વથા નાશ થવો જ છે.

આ દૃષ્ટિએ બારડોલીની લડતે હવે વ્યાપક સ્વરૂપ પકડ્યું છે, અથવા આપણા સદ્ભાગ્યે સરકારે તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.

સત્યાગ્રહનું શસ્ત્ર ગેરકાયદેસર છે એવી શ્રી. મુનશીની દલીલ અથવા કબૂલાત દુ:ખકર છે. તે હવે તો અંકાઈ ગયેલું શસ્ત્ર ગણાય. દક્ષિણ આફ્રિકામાં જ્યારે તેનો ઉપયોગ થયો ત્યારે લૉર્ડ હાર્ડિંગે તેનો બચાવ કર્યો હતો. ચંપારણમાં બિહારની સરકારે તેનો સ્વીકાર કરી કમિટી નીમી હતી. બોરસદમાં શ્રી. વલ્લભભાઈએ તે જ શસ્ત્રનો ઉપયોગ કર્યો, ને હાલના જ ગવર્નરસાહેબે તેને માન આપી લોકોને દાદ આપી હતી. હવે તે શસ્ત્ર કેમ કાયદાવિરુદ્ધ ગણવું તે ન સમજાય તેવું છે.

પણ સત્યાગ્રહ કાયદાવિરુદ્ધ હોય કે ન હોય એ અત્યારે પ્રસ્તુત સવાલ નથી. લોકોની માગણી વાજબી હોય, તો લોકોની માગણી કરવાની રીત ગમે તેવી હોય છતાં તેની યોગ્યતા ઓછી નથી થઈ શકતી. ”