આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ મું
જેને રામ રાખે
 


એક મિત્રે માગણી કરી કે અમારા ગામમાં આવી તો જાઓ. ‘વલ્લભભાઈ કહે નહિ ત્યાં સુધી નહિ,’ એમ ગાંધીજીએ જવાબ આપ્યો. આખરે વલ્લભભાઈએ કહ્યું કે ‘જઈ આવો’ ત્યારે તેઓ સરભોણ અને રાયમ જઈ આવ્યા. રાયમમાં હજારો માણસો આસપાસનાં ગામોમાંથી આવ્યાં હતાં, તેમને ખબર નહોતી કે દેશ આખો તેમની ચર્ચા કરી રહ્યો છે. સેંકડો સ્ત્રીઓ હતી, અને એક ઠેકાણે કાંતવાનું પ્રદર્શન ગોઠવ્યું હતું. બધાં ગોઠવાઈ ગયાં એટલે એક પછી એક બહેને પોતાના અર્ધ્ય આપ્યા, ગાંધીજીને ભાષણ કરવું નહોતું, પણ આભારની ખાતર પણ ભાષણ કરવું પડ્યું. તેમણે કહ્યું:

“સરદારના હુકમ છે કે તેમના સિવાય કોઈએ બોલવું નહિ એટલે મારાથી કશું ન બોલાય. સરદાર હોત અને હુકમ કરત તો બોલત. આજે તો તમારી બહાદુરી અને તમારા સંગઠનને માટે તમને ધન્યવાદ આપું છું. રેંટિયાનું પ્રદર્શન જોઈને મને આનંદ થયો, પણ આજે રેંટિયા વિષે પણ ન બોલું. આપણે જેમને સરદાર બનાવ્યા તેમના હુકમ અક્ષરશ: પાળવા એ આપણો ધર્મ છે. હું સરદારનો મોટો ભાઈ થાઉં એ વાત સાચી છે, પણ જાહેર જીવનમાં જેની નીચે આપણે કામ કરતા હોઈએ તે આપણો પુત્ર હોય કે નાનો ભાઈ હોય તો પણ તેના હુકમ માન્ય રાખવા જ જોઈએ. એ કાંઈ નવો કાયદો નથી. એ આપણો પ્રાચીન ધર્મ છે. એ ધર્મનું પાલન કરવા માટે જ શ્રીકૃષ્ણે અર્જુનનું સારથિપણું કર્યું અને યુધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે તેમણે પતરાળાં ઉઠાવેલાં. એટલે આજે તો માત્ર તમને ધન્યવાદ જ આપું છું. વલ્લભભાઈએ તમને દેશમાં પ્રસિદ્ધ કર્યા. સરકારે તમને જગપ્રસિદ્ધ કર્યા છે. ભવિષ્યમાં તમને હજીયે મોટી ફતેહ મળો.”

આ બધા ભાઈઓ અને બહેનો રામભરોસે બેઠાં હતાં અને સરદારનું પડ્યું વચન ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટા વધારે વલ્લભભક્ત બનાવ્યા.

૨૪૯