આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારડોલી તપાસસમિતિની સાથે

ગયા ભાગમાં તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને શ્રી. વલ્લભભાઈએ તે કેવી શરતે સ્વીકારી એ જણાવ્યું છે. ૧૮મી ઑક્ટોબર ૧૯૨૮ ના ઠરાવથી કમિટીની નિમણૂક જાહેર થઈ અને તા. ૧ લી નવેંબરથી મિ. બ્રૂમફીલ્ડ ( ન્યાયખાતાના અમલદાર ) અને મિ. મૅક્સવેલ (મુલકી ખાતાના અમલદાર) પોતાના કામ ઉપર ચડ્યા, અને પહેલું પખવાડિયું રિપોર્ટો વાંચવાની અને આરંભિક તૈયારીમાં ગાળ્યું. પાંચમી તારીખે અમલદારોની સાથે એક ગુફતેગુ થઈ જે દરમ્યાન મુંબઈના પ્રસિદ્ધ ઍડવોકેટ શ્રી. ભૂલાભાઈ દેસાઈએ લોકપક્ષ કહી સમજાવ્યો. તપાસનું કામ તા. ૧૪ મી નવેંબરે શરૂ થયું, અને જાન્યુઆરી મહિનાની આખરની તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખરની તારીખે ચોર્યાસી તાલુકામાં પૂરું થયું.

શ્રી. વલ્લભભાઈની ઇચ્છા મુજબ લોકોના તરફથી હકીકત રજૂ કરવાનું કામ ભાઈ નરહરિ પરીખ, રામનારાયણ પાઠક અને મેં માથે લીધું હતું. અમને મદદ કરનારા તો પુષ્કળ ભાઈઓ હતા — શ્રી. મોહનલાલ પંડ્યા, કલ્યાણજીભાઈ, ચોખાવાળા, વગેરે. એમની મદદ એવી કીમતી હતી કે અમારાં પત્રકો વગેરેની અને બીજી તૈયારી જોઈને અમલદારોને અદેખાઈ થતી, અને ઘણીવાર કહેતા : ‘તમારા જેવી તૈયારી અમારી પાસે નથી, સરકારે એવી સગવડ અમને નથી કરી આપી. તમને તો આખો તાલુકો મદદ કરવાને તૈયાર છે.’ આનંદની વાત છે કે પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી સાથેના પોતાના સંબંધને ‘અતિશય મીઠા સંબંધ’ તરીકે વર્ણવ્યો છે, અમે આપેલી મદદને ‘કીમતી મદદ’ તરીકે વર્ણવી છે, અને લેાકોની વૃત્તિ ‘તદ્દન વિરોધ વિનાની, અને અમારી તપાસમાં અમે આશા નહોતી રાખી એટલો સહકાર આપવાની’ તરીકે વર્ણવી છે.

વાચકને સ્મરણ હશે કે સત્યાગ્રહના આરંભમાં ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવાની સૂચના લઈને કેટલાક ખેડૂતો બારડોલી આવ્યા હતા, અને તેમને સમજાવીને શ્રી, વલ્લભભાઈએ પાછા

૨૯૯