આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


પડ્યું. એક ગામે તો ઘાસની ગંજીનાં ગાડાં ભરીને લોકો જતા હતા એટલે સાહેબોએ તુરત પૂછ્યું, ‘આ ગાડાં ક્યાં જાય છે ?’ તેમને જવાબ મળ્યો, ‘બીજા ગામના લેાકોની જમીન આ ગામે છે, તેઓ ઘાસ કાપીને પોતાને ઘેર લઈ જાય છે.’ આમ છતાં સાહેબો બહુ સાવધાનીથી લખે છે :

“સંભવ છે કે અમને ઘાસના વેપાર વિષે ખોટી ખબર આપવામાં આવી હોય, પણ સૂરતમાં તો ચોર્યાસી તાલુકાનાં અને પાસેનાં ગાયકવાડી ગામનું જ ઘાસ આવે છે એ વિષે શંકા નથી, અને ઘણાં ગામમાં તો ઘાસ ઢોરના ઉપયોગ પૂરતું જ છે.”

શ્રી. જયકરે બીજા વધારાનાં જે કારણો આપ્યાં છે તેમનો પણ સાહેબોએ ઠીક નિકાલ કરી નાંખ્યો. ખેતીની મજૂરી બમણી થઈ છે એ કારણ તથા સામાન્ય ભાવ વધ્યા છે એ કારણ તો મહેસૂલ વધારવાને માટે નહિ પણ મહેસૂલ ઓછું કરવાને માટે અપાવું જોઈએ એમ અમલદારો જણાવે છે. દૂધાળાં ઢોરનો વધારો, રાનીપરજ લોકોની સ્થિતિમાં સુધારો, સુંદર ઘરો, અને કપાસના ભાવ એ બીજાં કારણો તરીકે જણાવવામાં આવ્યાં હતાં. વસ્તીની વધઘટ વિષેના અમારા બધા ખુલાસા સાહેબને પસંદ પડ્યા. એક ઠેકાણે વસ્તીગણત્રી થઈ તે દિવસે બે જાન આવી હતી એટલે વસ્તી વધી ગઈ, એ કારણ સાહેબોને બહુ નોંધવા જેવું લાગ્યું, અને એકંદર રીતે સાહેબને જણાયું :

‘બારડોલીમાં જે વસ્તી વધારો થયેલો દેખાયેલો છે તે નજીવો છે. ચોર્યાસીમાં વધારો થયો જ નથી. એટલે આ જમાબંધીમાં વસ્તીની વાત તો વિચારવા જેવી લાગતી જ નથી.’

ઘરોને વિષે સાહેબોએ જણાવ્યું :

“અમે કેટલાંક ઘરો જોયાં, અને કણબી અને અનાવલાનાં ઘરો અમને સારાં લાગ્યાં. અને એ ઘરો આબાદી નહિ તો લોકો ખાધેપીધે સુખી છે એમ તો બતાવે છે. પણ આ મોટાં ઘરોમાંનાં ઘણાંખરાં દક્ષિણ આફ્રિકાવાસીઓનાં છે, અને જમીનના નફામાંથી નથી બાંધવામાં આવ્યાં. વળી મોટાં ઘરો આબાદીની નહિ પણ ઉડાઉપણાની અને ખાલી ભપકાની નિશાની છે. વળી, બારડોલીમાં ઘરોમાં અર્ધા ભાગમાં તો ઢોર પણ વસે છે, અને માળ ઉપર દાણોદૂણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરો જોઈ ને આબાદીનું અનુમાન બાંધવું એ બરોબર નથી.”

૩૦૮