આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩જું
ખેતીનો નફો !
 

 જ કહેવા પ્રમાણે એને રોકડું ખર્ચ રૂા. ૩૦૫ થયું (રૂ. ૧૪૩ બે બળદ માટે, રૂ. ૪૨ ખાતર માટે, અને રૂા. ૧૨૦ ચાર દૂબળા માટે). આ ઉપરાંત એને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવું પડ્યું હશે, અને ૨૦ એકર ૧૩ ગુંઠા ગણોતે લીધેલી જમીનનું ગણોત — તે ૨૬૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે. ગણોતનો આંકડો એ માણસને પૂછવાનો રહી ગયો એ દિલગીરીની વાત છે. આ પ્રમાણે ભેંસમાંથી એને જે નફો થયો હશે તે ન ગણતાં પણ ૮૬૭ બાદ ૭૫૦ એટલે ૮૭ રૂપિયા રોકડા એની પાસે રહ્યા. અને આ ઉપરાંત એને રોજના ૧૦ાા શેર ચોખા અને ૬ શેર જુવાર પાકી. અને એક માણસનો રોજનો ખોરાક એક શેર ચોખા અને દોઢ શેર જુવાર મનાય છે. એટલે ચાર દૂબળા અને કુટુંબનાં માણસોને માટે વધારેપડતા ચોખા રહેશે, અને કંઈક ઓછી જુવાર રહે છે, પણ એનો તો કોક રીતે મેળ બેસાડી શકાય, અને બીજા ખોરાક પર રોકડું ખર્ચ તો જૂજજાજ થાય. પણ હવે ધારો કે જે રીતે બીજા ખર્ચના આંકડા મૂકવામાં આવ્યા છે તે રીતે આ આંકડા મૂકવામાં આવ્યા હોત તો બળદનું ખર્ચ રૂ. ૨૦૦ મુકાત, ચાર દૂબળાનું રૂા. ૧પ૦ લેખે રૂા. ૬૦૦ નું ખર્ચ મુકાત, રૂા. ૧૮૦ નું ખાતર મુકાત, અને પરિણામે ખોટનો સુમાર ન રહ્યો હોત.”

આ ટીકાની ઉપર શી ટીકા કરીએ ? એમાં કેટલીક સામાન્યમાં સામાન્ય બાબતનું પણ અજ્ઞાન છે, અને કેટલીક વસ્તુ ગણવામાં આવી જ નથી. ખેડૂતને ૧૦૫ મણ ડાંગર પાકી તે ઉપરથી સાહેબોએ ત્રિરાશિ કરીને હિસાબ કાઢ્યો કે એને ત્યાં રોજના ૧૦ાા શેર ચોખા પાક્યા ! ડાંગર અને ચોખાનો ભેદ અમલદારો શા સારુ જાણે ? ૧૦ાા શેર ચોખા નહિ, પણ ૧૦ાા શેર ડાંગર પાકી અને એમાંથી તો માંડ ૫ શેર ચોખા થાય. એટલે સાહેબોને હિસાબે જ એ માણસનું કુટુંબ અને ચાર દૂબળાને ખાવાના ચોખા વધારે પડતા નહિ પણ ખાવા જેટલા ન મળે, અને વધારે ચોખા લાવવામાં જ એની આખી રોકડ ખપી જાય. આ તો એક વાત થઈ. બીજી વાત એ કે સાહેબો માને છે કે અનાવલાનું ખરચ અને દૂબળાનું ખરચ સરખું છે, અને અનાવેલા ગૃહસ્થને શેર ચોખા અને દોઢશેર જુવાર મળી પછી ખાવાપીવાને માટે કશું ખરીદવાનું રહેતું જ નથી ! આના જેવું ભીષણ અજ્ઞાન બીજું કયું હોઈ શકે ? સાહેબોએ એમના પટાવાળા અથવા ઘોડાવાળાને

૩૨૫