આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ખેડવામાંથી થતા ફાયદામાં વધારે ખેડૂતની પોતાની મહેનતે અથવા પેાતાને ખર્ચે થયેલો હોય તો તે વધારો નવી આંકણી કરતી વખતે ગણતરીમાં ન લેવો.

૪. સરકારી કાગળના ૭મા પૅરેગ્રાફના સંબંધમાં મારે એટલું જ કહેવું જોઈએ કે છાપાં અથવા ભાષણ દ્વારા મને ટેકો આપનાર મિત્રો અને હું ટોળી બાંધીને બેઠા નથી. પણ મારે તેમના તરફથી જણાવવું જોઈ એ કે નાની નાની સરકારી જાહેરખબરો અને નિયમો અને કાનૂનોના અભ્યાસી હોવાની તેમની પાસે કોઈ આશા ન રાખે. તેઓ આવી હિલચાલને ટેકો આપે કારણ કે તેમને સામાન્ય રીતે સત્ય કોની બાજુએ છે તે સમજાઈ જાય છે, અને સરકારની સચ્ચાઈને વિષે તેમનો વિશ્વાસ ઊડી ગયો છે. છતાં અહીં પણ મારે કહેવું જોઈએ કે સરકારી જાહેરનામાં અને નિયમો અને કાનૂનોની ભૂલભૂલામણીમાં ઊતરવાની જે મહેનત લે છે તેને તેની મહેનતનું ભાગ્યે જ કશું ફળ મળે છે. કારણ સરકારની પાસે તો દરેક વખતે કંઈક નહિ તો કંઈક જવાબ હોય છે જ. તમારા આ નિયમનો તમે ભંગ કર્યો છે એમ કહીએ તો સરકાર જવાબ દે છે; આ પ્રથાને બદલે અમે હવે આ પ્રથા શરૂ કરી છે,’ ‘અમલી ખાતાના હુકમો સરકારને પોતાની ઇચ્છા પ્રમાણે બદલવાનો હક છે !’

પ. મને અને મારા સાથીઓને ‘બહારનાઓ’ કહીને જે અપમાન પહેલા કાગળમાં કરવામાં આવ્યું હતું, અને જેની સામે મેં વાંધો લીધો હતો, તે અપમાન સરકારના છેલ્લા કાગળના આઠમાં પૅરેગ્રાફમાં ગવર્નર અને તેની કાઉન્સિલની છાપ સાથે પાછું મારા માથામાં મારવામાં આવ્યું છે. એને અર્થ એટલો જ છે કે પશુબળ ઉપર આધાર રાખનારી જે રાજ્યપ્રથાને જ્યારેત્યારે પોતાનું ઉદ્ધત જોર બતાવવાની ટેવ પડી છે, તે પ્રથાને આ દેશમાંથી કાઢ્યે જ છૂટકો છે.

૬. પણ બારડોલી સત્યાગ્રહનો એ હેતુ નથી. એનો હેતુ તો પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે, તે બાબતમાં એક નિષ્પક્ષ પંચ માગવાનો જ સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની ના ન પડાય એવી માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેંટ ઑફિસરના રિપોર્ટની યોગ્યતાનો મેં ઇનકાર કર્યો છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણની યોગ્યતાનો પણ મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે.

૩૫૦